દમણમાં 1987થી 2000 સુધી ચાલેલો ઉદ્યોગો-જમીનોનો ટ્રેન્ડઃ 2000થી 2015 સુધીરાજકારણના ધંધામાં આવેલી તેજીઃ 2015થી અત્યાર સુધી શિક્ષણ સંસ્કાર અને શિસ્તનું સિંચન
દમણ-દીવના સમતોલ અને સર્વાંગી વિકાસનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિચક્ષણ દીર્ઘદૃષ્ટિ અને કાર્યક્ષમ નેતૃત્વના ફાળે જાય છે જેમણે આઈએએસ પ્રશાસકના સ્થાને વહીવટી કૂનેહ અને પ્રમાણિક અભિગમ ધરાવતા પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલને સોંપેલી બાગડોર બાદ દમણ-દીવના વિકાસની સર થયેલી નવી નવી ક્ષિતિજો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18: 15મી ઓગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી બાદ બરાબર 14 વર્ષ 4 મહિના અને 4 દિવસ બાદ પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુક્ત થયેલા દમણ-દીવે છેલ્લા 60 વર્ષમાં સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. તેમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં દમણ અને દીવે આકાશ આંબતો વિકાસ કર્યો છે.
31મી મે, 1987 સુધી ગોવાના એક અવિભાજ્ય અંગ તરીકે દમણ-દીવ સાથે રહ્યા હતા. ગોવાને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યા બાદ તત્કાલિન ભારત સરકારે દમણ અને દીવની સ્વતંત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેની ઓળખ જાળવી રાખી હતી.
સ્વતંત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવેલા દમણ અને દીવે 2000ના વર્ષ સુધી ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી હતી. પ્રવાસન ઉદ્યોગનોપાયો પણ નંખાયો હતો. ઈ.સ.2000થી 2015 સુધી રાજકારણ પણ એક ધંધો બની ચુક્યો હતો. રાજકીય દાવપેચની સાથે સત્તાની સાઠમારીમાં કાઉન્સિલરો અને પંચાયત સભ્યો કે જિલ્લા પંચાયત સભ્યોના ખરીદ-વેચાણનો સિલસિલો શરૂ થયો હતો. ભ્રષ્ટાચાર પણ પરાકાષ્ઠા ઉપર હતું.
પોર્ટુગીઝોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ મર્યાદિત સત્તા સાથેની વિધાનસભા ગોવા-દમણ અને દીવમાં હતી. 1966ના વર્ષમાં દમણ ખાતે આર્ટ્સ અને સાયન્સની ડીગ્રી કોલેજનો પણ આરંભ થયો હતો અને પાછળથી કોમર્સ જોડાતા બી.એ., બી.એસસી. અને બી.કોમ. સુધીના અભ્યાસની સુવિધા દમણમાં મળતી થઈ હતી.
દમણમાં સરકારી કોલેજ 1966થી કાર્યરત હોવા છતાં બી.એ., બી.એસસી. અને બી.કોમ.ના અભ્યાસક્રમ સુધી જ આ કોલેજ વરસો સુધી સીમિત રહી હતી. દમણ જિલ્લાના પ્રશાસન, લોક પ્રતિનિધિઓ, ધારાસભ્ય કે ગોવા સરકારની પણ આ કોલેજના અપગ્રેડેશન માટે નજર નહીં ગઈ હતી.
ટૂંકમાં દમણ અને દીવમાં શિક્ષણને હાંસિયા ઉપર મુકવામાં આવ્યું હતું. દમણ-દીવના સર્વવ્યાપી અને દરેકને અસરકર્તા વિકાસની શરૂઆત પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન બાદ થઈ છે. તેમાં પણ 2016ના ઓગસ્ટ મહિનામાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યા બાદ દમણ-દીવની રોનક દરેક ક્ષેત્રેબદલાઈ ચુકી છે. તેમણે પ્રારંભમાં શિક્ષણ અને સંસ્કારને મહત્ત્વ આપી પ્રદેશમાં એક અનુશાસનનું વાતાવરણ પેદા કરવા સફળ રહ્યા છે.
આજે દમણ અને દીવ ફક્ત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ નહીં, પરંતુ દેશમાં પણ જિલ્લા સ્તરના વિકાસની દૃષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે. જેનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી.
દમણ-દીવની આંગણવાડીથી લઈ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલોના મકાનોની પણ કાયાપલટ થઈ ચુકી છે. દમણ અને દીવના મુખ્ય રસ્તાઓનું વિસ્તૃતિકરણ શક્ય બન્યું છે. પ્રદેશ માટે મેડિકલ કોલેજની સાથે એન્જિનિયરીંગ, નર્સિંગ, પેરા મેડિકલ, ત્રિપ્પલ આઈઆઈટી જેવા અનેક અભ્યાસક્રમો ઉપલબ્ધ બની શક્યા છે. દમણની સરકારી કોલેજમાં પણ માસ્ટર સુધીના અભ્યાસક્રમની સગવડ થઈ શકી છે.
દમણ અને દીવના સમતોલ અને સર્વાંગી વિકાસનો શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચક્ષણ દીર્ઘદૃષ્ટિ અને કાર્યક્ષમ નેતૃત્વ શક્તિના ફાળે જાય છે. કારણ કે, તેમણે વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારીઓને પ્રશાસક તરીકે નિમવાની પરંપરાને તોડી રાજકીય પરંતુ વહિવટી કૂનેહ અને પ્રમાણિક કડક અભિગમ ધરાવતા શ્રી પ્રફુલભાઈ પટેલને પ્રશાસક તરીકેની સોંપેલી બાગડોરના કારણે જ દમણ-દીવ વિકાસની નવી નવી ક્ષિતિજો સર કરી રહ્યુંછે.