(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
સેલવાસ નગરપાલિકા સભ્ય અને સામાજીક કાર્યકર્તા શ્રી સુમનભાઈ પટેલ દ્વારા ગૌશાળા માટે અન્ય બીજી જગ્યા ફાળવવા માટે કલેક્ટર ડો. રાકેશ મિન્હાસને લેખિત રજૂઆત કરવામા આવી છે. જેમાં જણાવ્યા અનુસાર સેલવાસ નગર પાલિકાના ડોકમરડી વિસ્તારમાં જે જમીનમાં ગૌશાળા આવેલ છે તે જમીન ગાયમાતાને માટે ઓછી પડતી હોય જેથી પ્રદેશના 20 પટેલાદમાંથી જ્યાં ગાયમાતા માટે વધારે જમીન અને સારી સગવડ હોય ત્યાં ગૌશાળા લઇ જઈ આ જમીન પર છોકરાઓના અભ્યાસ માટે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું મકાન બનાવવા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રમતનું ગ્રાઉન્ડ બનાવવા માટે લેખિત રજૂઆત કરી હતી.
હાલમાં ડોકમરડી આહીર ફળીયા ડો.એપીજે અબ્દુલ કલામ કોલેજની બાજુમા ગૌશાળા આવેલ છે જ્યાં ઘણી સંખ્યામાં ગાયોને રાખવામા આવેલ છે પરંતુ તેઓની સંખ્યા જોતા પ્રથમ તો જમીન ખુબ જ ઓછી પડે છે, રોડ પણ નાનો દેખાય છે તેમજ હરવા ફરવા છાયાની વ્યવસ્થા નથી, કોઈકવાર નદીના ગંદા પાણીની સમસ્યા તેમજ અન્ય આધુનિક સગવડથી ગૌશાળા વંચિત દેખાઈ રહી છે.ગાયનું મરણ થાય તો દફનાવવાની જગ્યા નથી તેમજ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાનેકારણે કોઈકવાર નદીનુ ગંદુ પાણી પીએ છે.
દાનહમાં 20 પટેલાદ આવેલ છે તેમાંથી આશરે 25થી 30એકર જેટલી જમીન મળતી હોય અને ઝાડોની સંખ્યા વધારે હોય,ગાયોને હરવા ફરવા માટે મોટી જમીન હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય દરેક જાતની સુવિધા મળે એવી જગ્યાએ આ ગૌશાળા સ્થળાંતર કરવામા આવે જેથી ગાયને બધી સગવડો આપી શકાય તેમજ આ જૂની ગૌશાળાની જમીન પર છોકરાઓને અભ્યાસ માટે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું મકાન બનાવવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ માટે રમતનું ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામા આવે.
ડોકમરડી ચાર રસ્તા પાસે રિંગરોડના કિનારે હાલમા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા એક જ મકાનમાં ચાલી રહેલ છે તેમજ રિંગરોડ કમ્પાઉન્ડમાથી જતો હોય રોડના કામકાજોને લીધે ઘોંઘાટ થાય છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખુબ જ તકલીફ પડી રહી છે.
હાલમા અહી ઓવરબ્રિજ પણ બની રહેલ છે જે પાછળ જતા વધારે ખલેલ પોંહચાડશે અને અહીં વિદ્યાર્થીઓને રમતગમત માટે ગ્રાઉન્ડ પણ નથી જેને ધ્યાનમાં લઈને તાત્કાલિક યોગ્ય નિવારણ કરવામા આવે એવી પાલિકા સભ્ય શ્રી સુમનભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામા આવી હતી.
શ્રી સુમનભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મારો ગૌશાળા કેગાયમાતાનો કોઈપણ જાતનો વિરોધ નથી હું પોતે ખેડૂત છું ગાય મારા માટે માં સમાન છે એનુ મૂલ્ય હું સમજુ છું પણ ગૌશાળામાં રહેતી ગાયોને સારી સુવિધા પ્રસાશન દ્વારા મળે એ માટે આ સલાહ આપી રહ્યો છુ. આ પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે એવી વિનંતી સાથે આશા વ્યક્ત કરી હતી.