સેલવાસ, વાપી (ચલા), તા.22
રાજયના હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાયો હતો અને બપોરના સમયે કયાંક અમીછાંટણા તો કયાંક વરસાદી માહોલ સર્જાવા પામ્યો હતો. લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.
રાજયના હવામાન વિભાગની આગાહીને લઈ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ પડયો હતો. છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કયારેક જોરદાર પવન ફૂંકાતો હતો. ગઈકાલ રાત્રીના સમયે અચાનક જ પવન ફૂંકાવાનું ચાલુ થયું હતું. આજે સવારે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોરના સમયે અચાનક જ વાતાવરણમાં ફરી પલટો આવ્યો હતો જોરદાર પવન ફંૂકાવાની સાથે અમીછાંટણા થયા હતાં. અચાનક જ અમીછાંટણા થતાં થોડીક ક્ષણ માટે વરસાદી માહોલ સર્જાવાની ભીતિ સેવાઈ હતી. જો કે, ત્યારબાદ વાતાવરણ સ્વચ્છ થયું હતું. જો કે, વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને પગલે આંમ્રમંજરીની સાથે શાકભાજી અને રવિ પાકને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.
તોબીજી તરફ દાદરા નગર હવેલીમાં પણ વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળવાયા વાતાવરણ વચ્ચે પ્રદેશના કેટલાક વિસ્તારામાં કમોસમી વરસાદ પડયો હતો. એક તરફ શિયાળાની ઠંડી અને બીજી બાજુ કમોસમી વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતુ. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કારણકે હાલમાં આંબાના ઝાડો પર મોર ખીલી ઉઠયા છે. જે આ કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની ભીતિ છે. સાથે સાથે શાકભાજીના પાકોને પણ નુકસાન થઇ શકે એમ છે જેથી ખેડૂતોમા ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ લગ્નસીઝન પણ ચાલી રહી છે જેને લઈ લગ્નમાં વરસાદ વિધ્ન બનતો હોય જેને કારણે પરિવારોમાં પણ ચિંતા ફેલાઈ છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેને કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.