ધર્મ-આસ્થા સાથે વિજ્ઞાનનો સમન્વય : ઈસરોને બિરદાવાયું
(વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો)
વાપી, તા.20: મંગળવારના મંગલ દિવસથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશોત્સવ પરંપરાગત આસ્થાપૂર્વક ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહામહોત્સવ 10 દિવસ સુધી વિવિધ આયોજનો સાથે ભાવિકો ગણેશોત્સવની ઉજવણીમાં લીન બની જશે.
મહારાષ્ટ્ર-ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગૌરી ગજાનંદ ગણેશોત્સવનું મહિમા અપરંપાર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લામાં 1000 ઉપરાંત સાર્વજનિક નાના-મોટા મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરી છે. જેમાં દોઢ, ત્રણ, પાંચ અને દશ દિવસીય ગણેશજી બિરાજમાન કરાયા છે. તે પછી ક્રમશઃ વિસર્જન યાત્રાઓ ભાવિકો દ્વારા ઢોલ નગારા, ડાન્સ અને ડીજેના તાલે કરશે. આ વર્ષના ગણેશ મહોત્સવમાં એક ખાસિયત ઉડીને આંખે વળગે તેવી જોવા મળી રહી છે. વાપીના અનેક ગણેશ પંડાલોમાં ચન્દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ છે. જે ધર્મ આસ્થા સાથે વિજ્ઞાનનો સમન્વય જોવા મળી રહ્યો છે. ભારતના ઝાંબાજ ઈસરોના વૈજ્ઞાનિકોને પણ ધર્મ ઉત્સવમાં વણીને ભારોભાર ભાવિકોએ બિરદાવ્યા છે. ગમેશ ઉત્સવના પ્રારંભમાં થોડુ વરસાદનું વિઘ્ન આડે આવેલું પણ ગણેશ ભક્તોએ જરાપણ નોંધ લીધા વિના બાપ્પાની વાજતે ગાજતે પધરામણી ઠેર ઠેર કરાઈ હતી.