-
દાનહના બે અને દમણના એક વિદ્યાર્થી મળી કુલ ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાના મળેલા અહેવાલ
-
સંઘપ્રદેશ પ્રશાસને ત્રણેય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પોતાના વતનમાં લાવવા પ્રયાસો તેજ કરી પ્રશાસનિક સંવેદનશીલતાનો પણ આપેલોપરિચય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24
યુક્રેનમાં દાદરા નગર હવેલીના બે અને દમણના એક વિદ્યાર્થી મળી ત્રણ વિદ્યાર્થીઓને પરત વતન લાવવા માટે પ્રશાસનિક પ્રયાસો તેજ કરાયા છે અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્વયં મોરચો સંભાળી લીધો હોવાની જાણકારી મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા વણસેલી પરિસ્થિતિમાં દાદરા નગર હવેલી અને દમણથી અભ્યાસ માટે યુક્રેન ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની જાણકારી મળી છે. જેમાં દમણના દુણેઠા ખાતે આવેલી ડયુન્સ સોસાયટીમાં રહેતી વિદ્યાર્થીની માનસી શર્મા અને દાદરા નગર હવેલીના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આ ત્રણેય વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સલામત રીતે પરત લાવવા માટે પોતાના ઉચ્ચ સ્તરીય સંબંધોનો ઉપયોગ શરૂ કર્યો છે અને આ ત્રણેય વિદ્યાર્થીઓ ક્ષેમ કુશળ પરત ફરશે એવી આશા બળવત્તર બની છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપથી પરત ફરી તાત્કાલિક આ ત્રણેય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે દેશમાં લાવવા માટે પોતાના પ્રયાસો તેજ કરી પ્રશાસનિક સંવેદનશીલતાનો પણ પરિચય આપ્યો છે.