સંઘપ્રદેશને 2023 સુધી ટી.બી. મુક્ત બનાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા એલાન અંતર્ગત દવાની દુકાનો મારફત થતા ટી.બી. વિરોધી દવાના વેચાણના આંકડા આપવા નિષ્ફળ રહેલી દુકાનો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ,તા.11 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2023ના અંત સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવને ટી.બી.(ક્ષય) મુક્ત બનાવવા આપેલા એલાનને સફળ બનાવવા માટે પ્રશાસનના દરેક વિભાગો જવાબદારી પૂર્વક કામ કરી રહ્યા છે. જે કડીમાં પ્રદેશના ડ્રગ્સ કંટ્રોલ વિભાગે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં એન્ટી ટી.બી. દવાના વેચાણના ડેટા નહીં પુરા પાડનારી લગભગ 102 જેટલી દવાની (કેમિસ્ટ) દુકાનોને તેમના રિટેઈલ સેલના લાયસન્સ સસ્પેન્ડ/રદ્ કરવા માટે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ટી.બી. વિરોધી દવાના આંકડાથી દર્દીઓની ઓળખ માટે વિભાગને સરળતા રહેવાથી તેનો સંપર્ક કરી પ્રદેશને ટી.બી. મુક્ત બનાવવા પ્રશાસને શરૂ કરેલા પ્રયાસોમાં મદદરૂપ થઈ શકે છે. તેથી પ્રદેશના ડ્રગ્સ કંટ્રોલ વિભાગે દવાની(કેમિસ્ટ) દુકાનોના સંચાલકો સાથે અનેક વખત બેઠકો યોજી તેમની દુકાનમાંથી એન્ટી ટી.બી.ની વેચાતી ડ્રગ્સની માહિતીના ડેટા માંગવામાં આવ્યા હતા. પરંતુ પ્રદેશના ડ્રગ્સ વિભાગના નિર્દેશને ગંભીરતાથી નહીં લેતાં છેવટે દાદરા નગર હવેલીના લગભગ 81 અને દમણમાં 21 મળી 102 જેટલી દવાની(કેમિસ્ટ) દુકાનોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. જેનાથી સંચાલકોમાં ફફડાટ પણ ફેલાયો છે અને હવે ડેટા પહોંચાડવામાટે સક્રિય પણ બન્યા છે.