(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ),તા.03
ચીખલી તાલુકાના 40 સહિત નવસારી જિલ્લાના 86 જેટલા પ્રાથમિક શિક્ષકોના કોમ્યુટરની ત્રિપલ-સીની પરીક્ષાના પ્રમાણપત્રો અમાન્ય સંસ્થાના નીકળતા આ શિક્ષકો દ્વારા ફરીવાર પરીક્ષા પાસ કરી માન્ય સંસ્થાના પ્રમાણપત્રો રજૂ કરી દેવાયા હતા. જો કે અગાઉના પ્રમાણપત્રોના કિસ્સામાં સંસ્થા માન્ય છે કે અમાન્ય તે બાબતે શિક્ષકો અંધારામાં હોય એ સ્થિતિ સર્જાવા પામી છે.
માન્ય સંસ્થાના પ્રમાણપત્ર રજૂ થયા બાદ ગ્રેડ ચઢાવવા માટે અધિકારી દ્વારા અખાડા શરૂ કરાયા હતા અને કેટલાક શિક્ષક આગેવાનો અને હાઈસ્કૂલના એક આચાર્ય સહિતના મળતીયાઓ દ્વારા ઉઘરાણા શરૂ કરાયા હતા. જેમાં પાંચ પાંચ આંકડાની રકમનો ચાંલ્લો આ અધિકારીને થયા બાદ પણ શિક્ષકોને ભવિષ્ય અસર સાથે એક ઈજાફો અટકાવવાનો હુકમ કરાતા શિક્ષક આલમમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો.
ત્રિપલ-સીના પ્રમાણપત્રના પ્રકરણમાં એક નનામો પત્ર પણ ફરતો થયો છે. જેમાં દરેક શિક્ષક પર રૂા.40,000/- લઈને અધિકારીને આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આટલા પૈસા આપવા છતાં દરેકશિક્ષકોના ભવિષ્ય પર અસર સાથે એક ઈજાફો અટકાવવામાં આવ્યો છે. તેઓ ઉલ્લેખ કરાયો છે.
જોકે અધિકારી પોતાની કામગીરી ઉજળી બતાવવા માટે ઇજાફો અટકાવ્યો હોવાની પણ ચર્ચા શિક્ષક આલમમાં ઉઠવા પામી છે. ત્રિપલ-સી ઉપરાંત રમત ગમતના સાધનો, અગ્નિશામક સિલિન્ડર, બુટની ખરીદી સહિતના અનેક પ્રકરણમાં આ અધિકારી વિવાદમાં રહ્યો છે. તેમ છતાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન સેવી રહ્યા છે.
નવસારી જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી રોહિત ચૌધરી પાસે થોડા દિવસો પૂર્વે જ માધ્યમિક (ડીઈઓ)નો ચાર્જ લઈને શિક્ષણ નિરીક્ષક રાજશ્રી ટંડેલને સોંપવામાં આવ્યો છે. તે પણ શિક્ષક વર્તુળમાં ચર્ચાનો વિષય બનાવ પામ્યો છે.
ડીપીઈઓ શ્રી રોહિત ચૌધરીના જણાવ્યાનુસાર પૈસા લીધા હોય તો માફ કરી દીધા હોત પરંતુ ભવિષ્યની અસર સાથેની કાર્યવાહી કરી છે. આ અંગેની જાણ ટીપીઈઓ અને નિયામકશ્રીને કરવામાં આવી છે.