(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ),તા.03
ચીખલી તાલુકાના ઘેજ ગામે ખરેરા નદીના તટે સ્વયંભુ બિરાજમાન શ્રી પંચમુખી હનુમાન દાદાના પૌરાણિક મંદિર તરફ જતો માર્ગ છેલ્લા કેટલાક વર્ષથી અત્યંતજર્જરિત બન્યો હતો. આ માર્ગ શ્રધ્ધાળુઓ ઉપરાંત ખેડૂતો માટે પણ ખૂબ ઉપયોગી હોય નવીનિકરણ માટેની માંગ કરાઈ રહી હતી. આ દરમ્યાન આજરોજ કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય સેજલબેન, સરપંચ રાકેશભાઈ, ડેપ્યુટી સરપંચ ગૌરાંગભાઈ સોલંકી, શક્તિ કેન્દ્રના પ્રમુખ વિનોદભાઈ, પૂર્વ સરપંચ પદ્માબેન, ભાજપના મહિલા મોરચાના મહામંત્રી અનસૂયાબેન સહિતનાની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી આ માર્ગના નવીનીકરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘણાં લાંબા સમયથી આ માર્ગના રિકાર્પેટની માંગણી હતી. જે સરકારની બે અલગ અલગ યોજનામાં સાત લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ દરમ્યાન ગામના અન્ય વિકાસના કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
ખાતમુહૂર્ત દરમ્યાન પૂર્વ ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ સહિતના અને સ્થાનિક પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.