હવે દાનહના આદિવાસીઓ ગિલોય, બહેડા, શતાવરી, ગોરખમુંડી, પલાશના ફૂલો સહિત આવા 87 પ્રકારના વન ઉત્પાદનોને ‘વન ધન વિકાસ કેન્દ્ર’ના સભ્યો દ્વારા એકત્રિત કરી ક્લસ્ટર પર વેચી વધુ આવક રળી શકશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલીના કૌંચા કરચોણ ગામે નવનિર્મિત ‘વન ધન વિકાસ કેન્દ્ર ક્લસ્ટર(વી.ડી.વી.કે.)’નું ઉદ્ઘાટન આરડીસી સુશ્રી ચાર્મી પારેખના હસ્તે રિબીન કાપી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પ્રસંગે ઉપસ્થિત દરેક ‘વન ધન વિકાસ કેન્દ્ર ક્લસ્ટર(વી.ડી.વી.કે.)ને બેન્ક પાસબુક અને ટુલકીટ વિતરણ કરવામા આવી હતી. ત્યારબાદ આરડીસી સુશ્રી ચાર્મી પારેખે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ચાલુ નાણાંકીય વર્ષ 2021-’22માં પ્રધાનમંત્રી ‘વન ધન યોજના’ અંતર્ગત દાનહમાં ‘વન ધન વિકાસ કેન્દ્ર ક્લસ્ટર’ સ્થાપિત કરવાની સ્વીકૃતિ અનુસૂચિત/જનજાતિ મંત્રાલય-ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવી જેના અંતર્ગત 20-20 સભ્યોવાળા 15 કેન્દ્રો સ્થાપિત કરવાના હતા જેનું રાજ્ય એજન્સી અનુસૂચિત જાતિ/ જનજાતિ નિગમ દ્વારા આ સપનુ સાકાર કર્યુ હોવાની જાણકારી આપી હતી.
દર વર્ષે જંગલોમાં જોવા મળતા કિંમતી વન ઉત્પાદન જે બેકારથઈ જતા હતા હવે ક્લસ્ટરના સ્થાપનાને કારણે ગિલોય, બહેડા, શતાવરી, ગોરખમુંડી, પલાશના ફૂલો વગેરે આવા 87 પ્રકારના વન ઉત્પાદનોને વન ધન વિકાસ કેન્દ્રના સભ્યો દ્વારા એકત્રિત કરી ક્લસ્ટર પર વેચશે જેનાથી આ લોકોની વધુ આવક થશે.
ભારત સરકાર દ્વારા નિર્ધારિત ન્યુનતમ સમર્થન મૂલ્ય પર (એમએસપી) વન ઉત્પાદોને કેન્દ્ર પર ખરીદવામાં આવશે, ત્યારબાદ તેની સફાઈ, છુટા પાડવાની પ્રક્રિયા, મિલિંગ, પેકેજીંગ અને બ્રાન્ડિંગ કરી ટ્રાઈફેડના સહયોગથી બજારમાં ગ્રાહકોને વેચવામાં આવશે.
‘વન ધન વિકાસ કેન્દ્ર ક્લસ્ટર’ સ્થાપિત થવાને કારણે અહીંના આદિવાસી ભાઈઓ અને બહેનોને હવે વન ઉત્પાદનથી લાભ થશે અને વન ઉત્પાદન નષ્ટ થતાં પણ બચશે. આવનાર સમયમાં આ વન ઉત્પાદન અહીંના લોકોની આર્થિક ઉન્નતિનો માર્ગ ખોલશે. આ અવસરે ‘વન ધન વિકાસ કેન્દ્ર’ના પદાધિકારીઓ, સભ્યો બેન્ક ઓફ બરોડા આરસેટીના મેનેજર શ્રી સુનિલ માલી, નિગમના પ્રબંધક અંબિકા સિંહ, સરપંચ, પંચાયત સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Next Post