સંઘપ્રદેશ પ્રશાસને સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ અને નહેર ઉપર થતાં અતિક્રમણ સામે અખત્યાર કરેલી નો-ટોલરેન્સ’ની નીતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)દમણ, તા.14
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાભેલમાં નહેર ઉપર કરવામાં આવેલા અતિક્રમણ અને નાની દમણ ફોર્ટ વિસ્તાર નજીક સરકારી જમીન ઉપર ગેરકાયદે કરેલા બાંધકામને આજે હટાવવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સરકારી જમીન અને નહેર ઉપર કરાયેલા દબાણ સામે ‘નો- ટોલેરન્સ’ની નીતિ અખત્યાર કરવામા આવેલ છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સરકારી જમીન ઉપર કરાતા ગેરકાયદે દબાણ સામે ખુબ જ આક્રમક વલણ ધરાવે છે. જેના કારણે કોઈપણ સરકારી અથવા નહેરની જમીન ઉપર કરાયેલા દબાણને સ્વયં દ્વારા દુર કરવા પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે અને જો સ્વયં દ્વારા ગેરકાયદે દબાણ દુર નહી કરાયું તો પ્રશાસન અતિક્રમણને દુર કરવા પોતાની ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરશે એવી ચીમકી પણ આપવામાં આવી છે.