(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વલસાડ તાલુકાના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીરકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે રસીકરણ સહિતની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યકર્મીઓ અને આશાવર્કરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ અવસરે તાલુકા હેલ્થ ઓફિસર કમલભાઈ ચૌધરીએ આરોગ્ય વિભાગની ઉપલબ્ધિઓ વર્ણવતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં પંચલાઈ ગામમાં સૌ પ્રથમ 100 ટકા રસીકરણ થયું હતું. રસીકરણનું મહત્ત્વ સમજી પાત્રતા ધરાવતા લોકોએ કોવિડ-19 રસી લેવાને કારણે કોરોનાની ત્રીજી લહેરમાં ઓછી તકલીફ પડી હતી. હવે પછી કોઈ પણ વ્યક્તિ રસી લેવા વગર રહી ન જાય તેનીકાળજી રાખવા જણાવ્યું હતું. પોલિયો રસીકરણ કરવાથી પોલિયોમુક્ત બની શકયા છે, તેમ કોવિડ-19 રસીકરણથી કોરોનામુકત થઇ શકીશું, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
જિલ્લા આઈ.ઇ.સી. ઓફિસર પંકજભાઇ પટેલે રસીકરણ અભિયાન અંગે વિસ્તૃત સમજણ આપી સૌને રસી લેવા અનુરોધ કર્યો હતો. પોલીયો રસીકરણ તેમજ કોરોના કાળમાં સારી કામગીરી કરનારા આરોગ્યકર્મીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે સરપંચ ગીતાબેન, ગોરગામ મેડિકલ ઓફિસર કેયુરી પટેલ, તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઇ સી. પટેલ, ગોરગામ સુપરવાઈઝર શૈલેષભાઇ ઝેડ. પટેલ, ફિમેલ હેલ્થ વર્કર શીલાબેન, સુપરવાઇઝર પદમાબેન, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હિરલબેન, મેઇલ હેલ્થ વર્કર રાકેશભાઈ, ગોરગામ તલાટી, આંગણવાડી વર્કરો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.