-
દમણના કલેક્ટર ડો. તપસ્યા રાઘવ, સાંસદ લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, એસપી અમિત શર્મા,એસડીપીઓ મણી ભૂષણ સિંઘ, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવિનભાઈ પટેલ સહિત આગેવાનોએ સમુદ્ર દેવની પુજા કરી ઉન્નતિ અને ખુશાલીની કરેલી કામના
-
સમુદ્ર નારાયણ ભગવાનની પણ યોજાયેલી મહા આરતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11: ભારતની આઝાદીના 75 વર્ષના ઉપલક્ષમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દમણ ખાતે માછી સમાજ અને લાયન્સ પરિવારના સંયુક્ત પ્રયાસથી નારિયેળી પૂર્ણિમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાની દમણ જેટી ખાતે આજે સાંજે 5:00 વાગ્યે આયોજીત નારિયેળી પૂર્ણિમા કાર્યક્રમમાં દમણ જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ-દીવના પૂર્વ સાંસદ અને માછી સમાજના આગેવાન નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દમણના એસ.પી.શ્રી અમિત શર્મા, એસડીપીઓ શ્રી મણી ભૂષણ સિંઘ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, માછી સમાજના કુલગુરૂ શ્રી મહંત ગોપાલદાસજી, ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રા, દમણના આગેવાન મહિલા નેતા શ્રીમતી તરૂણાબેન પટેલ, કાઉન્સિલરો, લાયન્સ ક્લબના હોદ્દેદારો, માછી સમાજના આગેવાનો સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણ કોસ્ટગાર્ડના જવાનોએ માછીમારો અને નાગરિકો માટે સુરક્ષા ડ્રીલનું આયોજન કરી સમુદ્રમાં ડૂબવાથી બચવાના ઉપાયો બતાવ્યા હતા. એની સાથે જ ઉપસ્થિત લોકોને હર ઘર તિરંગા અભિયાન અંગે પણ જાગૃત કર્યા હતા અને દરેકને 13 થી 15 ઓગસ્ટ સુધી પોતપોતાના ઘરે અને વ્યાપારિક પ્રતિષ્ઠાનો ઉપર તિરંગો લહેરાવવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે સમુદ્ર નારાયણ ભગવાનની ભવ્ય મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જમોં ઉપસ્થિત મહાનુભાવોએ સામેલ થઈ આરતીનો લ્હાવો લીધો હતો.
દમણના સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી સંજય મહારાજ અને અન્ય બ્રાહ્મણોએ વૈદિક પુજાવિધિ પણ સંપન્ન કરાવી હતી.
પ્રારંભમાં જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવનું દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ(દાદા)એ પુષ્પગુચ્છ આપી માછી સમાજ તરફથી અભિવાદન કર્યું હતું. દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોનું કાઉન્સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ દ્વારા સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મેહુલ પટેલ, શ્રી દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન અને પૂર્વ કાઉન્સિલર શ્રી ખુશમનભાઈ ઢીમર, માછી સમાજના અગ્રણી શ્રી મુકેશ ભાઠેલા, શ્રી રજનીકાંત ટંડેલ, શ્રી પ્રવિણ ટંડેલ, શ્રી સતિષ પંચક, શ્રીઆશિષ પ્રભાકર, શ્રી હરિશ ટંડેલ, શ્રી વિજય ટંડેલ, શ્રી વિજય ટંગાલ વગેરેએ પણ ઉપસ્થિત રહી સમુદ્ર દેવની પુજા-અર્ચના કરી ઉન્નતિ અને ખુશાલીની કામના કરી હતી.