(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.16
દીવજિલ્લામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત અને કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો માટે કાર્ય કરતી બે સમિતિઓ બાળ કલ્યાણ સમિતિ અને કિશોર ન્યાય બોર્ડ, દીવ દ્વારા કોવિડની મહામારી દરમ્યાન ગયા વર્ષે પોતાના બંને માતા-પિતા ગુમાવનાર વણાકબારાના ચાર અનાથ બાળકોના એક વર્ષના મકાન ભાડા માટે એક નવી પહેલ તરીકેના પગલા સ્વરૂપે કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. આ આર્થિક સહાય પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો માટે સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડવું તેમજ સમાજમાં આવા બાળકો પ્રત્યે જાગૃતતા લાવવાનો છે. કોરોના મહામારી દરમ્યાન એકાદ વર્ષ પહેલા કોરોનાના કારણે અચાનક માતા અને પિતા બંનેના આકસ્મિક નિધન થતા આ ચાર બાળકો પર આભ તુટવા જેટલી મુસીબત આવી પડેલ હતી. માતા અને પિતા બંનેની એક સાથે અચાનક વિદાયથી બાળકો પર આર્થિક સંકટ આવી પડેલ છે. ઘરની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે-સાથે આ ચાર બાળકો પર પોતાનો ઉછેર, વિકાસ, શિક્ષણ, સંરક્ષણ, પ્રાથમિક જરૂરિયાતો વગેરેની અત્યંત કઠીન કહી શકાય તેવી જવાબદારી બાળકોના પોતાના પર આવી પડેલ છે. જેઅનુસંધાનમાં આજરોજ બાળ કલ્યાણ સમિતિ અને કિશોર ન્યાય બોર્ડના સભ્યો દ્વારા તેમના 1 વર્ષના મકાન ભાડા પેટે બાળકોને ચેક અર્પણ કરવામાં આવેલ હતો. આ આર્થિક સહાય પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને તેમના માતા-પિતાની ગેરહાજરીમાં તેમની સુખાકારી, તેમના શિક્ષણ, તેમનો ઉછેર, તેમનો વિકાસ, તેમનું સંરક્ષણ તેમની પ્રાથમિક જરૂરિયાતો વગેરેથી બાળકો વંચિત ના રહે તેવો છે.
આ આર્થિક સહાય પૂરી પાડવામાં બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ નિલમ યતીન ફૂગ્રો, તેમજ અન્ય સભ્યો અમરચંદ જાદવજી સોલંકી, જયંતિલાલ હરજી બારિયા, રમેશચંદ્ર ભાનુશંકર રાવલ તેમજ કિશોર ન્યાય બોર્ડનાં સભ્યો હેમલતા ગોકળ બારિયા અને કિશોર બાવા કાપડિયા વગેરે દ્વારા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા આ ચાર અનાથ બાળકોને વાર્ષિક મકાન ભાડા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં પોતાનો સહયોગ અને યોગદાન પૂરું પાડ્યું હતું.