(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.21
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ-ડાંગ જિલ્લાની તમામ નદીઓને જોડી સૂચિત પાર-દમણગંગા, તાન, માન જેવી નદીઓને પાણી એકત્ર કરવાના પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજના સામે આદિવાસી સમાજનો વિરોધ જળવાઈ રહ્યો છે.
આ સંદર્ભમાં આજે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે એસ.ટી. બસ ડેપોની સામેની જગ્યામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા અને સૂચિત ‘ડેમ હટાવો, આદિવાસી બચાવો’ના નારા લગાવ્યા હતા. આ પ્રોજેક્ટના વિરોધ માટે આગામી 25 તારીખે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના પાર-તાપી નદીઓના જોડાણની યોજના સામે આદિવાસીઓનો વિરોધનો વંટોળ ખૂબ ફૂંકાઈ રહ્યો છે. આ પહેલાં ધરમપુર, વાંસદા, વઘઈ અને અન્ય આદિવાસી વિસ્તારોમાં રેલી અને ધરણા યોજાયા બાદ આજે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે આદિવાસીઓની મોટી રેલી યોજાઈ હતી. અહીં હજારોની સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા. આ રેલીમાં ધરમપુર, વાંસદા તથા ડાંગ અને વિસ્તારના લોકોપણ ભેગા થયા હતા. રેલીમાં વિવિધ લખાણો સાથેના પ્લેકાર્ડ સાથે યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આજે કપરાડામાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ આગામી તા.25મી માર્ચના રોજ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
અત્રે યાદ રહે કે, રવિવારે પારડીના ખડકી ગામે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પાર-તાપી રિવરલિંક યોજનામાં આદિવાસીઓની એક ઈંચ પણ જમીન જવાની નથી. વલસાડ જિલ્લામાં 500 કરોડના ખર્ચે નદીઓ ઉપર મોટા ચેકડેમ બનાવી જળસંચયનું આયોજન કરાયું છે અને તે માટે કોઈપણ પરિવારનું વિસ્થાપન થશે નહીં.
કપરાડામાં યોજાયેલા કાર્યક્રમમાં વિપક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી તુષાર ચૌધરી, કૉંગ્રેસ કોર કમિટીના સભ્ય શ્રી ગૌરવ પંડ્યા, દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ અધ્યક્ષ શ્રી અભિનવ ડેલકર અને વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત સરકારમાં નાણાંમંત્રીએ જે બજેટ ભાષણ આપ્યું તેમણે પણ આ યોજના માટે 500 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને 20ટકા રકમની આ બજેટમાં ફાળવણી કરી દેવામાં આવી છે. જ્યાં સુધી દિલ્હી સરકાર ના નહીં પાડે ત્યાં સુધી તમે માનજો કે આ પ્રોજેક્ટ થવાનો નક્કી જ છે.