17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોમ્બર દરમિયાન આયુષ્યમાન સેવા, હેલ્થ કેમ્પ, દલિત વસ્તી સંપર્ક અને ગાંધી જયંતિની ઉજવણી જેવા કાર્યક્રમોનું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન ઉજવણી ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી સાથે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાભાજપની સંગઠન બેઠક આજરોજ કમલમ વલસાડ ખાતે જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં યોજાઈ હતી. બેઠકમાં આગામી તા.17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી તા.17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડીયા સ્વરૂપમાં કરવામાં આવશે. જેમાં તા.18 સપ્ટેમ્બરના નેજા હેઠળ આયુષ્યમાન કાર્ડનો લાભ જરૂરીયાતમંદો અપનાવે તેનો કાર્યક્રમ યોજાશે. તા.24/25 સપ્ટેમ્બરના રોજ પંડિત દિનદયાળજીના જન્મ દિનની ઉજવણી અંતર્ગત પુષ્પાંજલી કાર્યક્રમ, ત્યારબાદ 26મી થી તા.01 ઓક્ટોમ્બર સુધી દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ અને તા.2જી ઓક્ટોમ્બરે મહાત્મા ગાંધીજીના જન્મ દિનની ઉજવણી ઉપલક્ષમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન થનાર છે. બેઠકમાં પ્રદેશની સુચના અનુસાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોની વરણી અને અભિનંદન ઠરાવ પસાર કરવા અંગે જરૂરી સુચનો પ્રમુખ હેમંત કંસારાએ કર્યા હતા. બેઠકમાં મહામંત્રીઓ મહેન્દ્ર ચૌધરી, કમલેશ પટેલ, શૈલેષ દેસાઈ સહિત સંગઠનના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો અને મીડિયા કન્વિનર ઉપસ્થિત રહ્યા હતા.