(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27
સમાજ-જીવનમાં વસતા માનવોના વર્તન વ્યવહારોને પરિણામે ઘટતી ઘટનાઓ અને આવતા પરિવર્તનો સામાજિક સંશોધકો માટે કાયમ અભ્યાસ અને નિરીક્ષણનો વિષય રહ્યા છે, ત્યારે સમાજના વંચિત એવા અનુસૂચિત જાતિ સમાજના સંદર્ભે તેના સામાજિક વલણો અને સમસ્યાઓને સંશોધન હેઠળ આવરી લેવાના આશય સાથેવડોદરા ખાતે શુભારંભ પામી રહેલી સંકલ્પ સોશ્યલ વર્ક એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા સર્કિટ હાઉસ વડોદરા ખાતે 26-03-2022ના રોજ એક દિવસીય પરિસંવાદો યોજાઇ ગયો.
ગુજરાતમાં આજે દલિત સાહિત્યમાં સારું એવું ખેડાણ થઈ રહ્યું છે ત્યારે દલિત સર્જકો આ સમાજમાં આવતાં પરિવર્તનો, તેના બદલાતા મનોવલણોને તેમના સર્જનમાં ઝીલતા સંશોધનકારો પણ બને એવો અનુરોધ કરતાં આ પરિસંવાદના ઉદઘાટક અને અધ્યક્ષ ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર અને પૂર્વ સનદી અધિકારી શ્રી પ્રવીણ ગઢવીએ કહ્યું કે ક્રીમિલેયરનો મુદ્દો આજકાલ ચર્ચામાં છે ત્યારે વંચિત સમાજના ક્રિમીલેયર નામાભિધાન પામેલા પરિવારની નવી પેઢી અત્યારે શું કરે છે તેના પર સંશોધન કરવાનો સમય આવી ગયો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ગ્રામ્ય અને શહેરી વંચિત સમાજના પ્રશ્નો અને તેના નિરાકરણની પણ નવી પેઢીના સંશોધકોએ તેમના સંશોધનમાં આવરી લેવા જોઈએ.
અતિથિ વિશેષ પદે ઉપસ્થિત પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને કાયદા નિષ્ણાત શ્રી કે.બી. રાઠોડે વડોદરાની ભૂમિ પરથી આખા દેશના વંચિત – દલિત સમાજના ઉદ્ધારક માર્ગદર્શક બનેલા, સંવિધાન નિર્માતા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાન સંશોધનકાર તરીકેની ઓળખાણ આપી નવીપેઢીના સંશોધકોને તેમનામાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
અતિથિ વિશેષ અને પૂર્વ સંયુક્ત માહિતી નિયામકશ્રી નટુભાઈ પરમારે કવિતા, વાર્તા જેવા સર્જનાત્મક સાહિત્ય સર્જન કરતાં સંશોધનકાર્ય વધુ પડકારજનક હોવાનો મત વ્યક્ત કરી નવી પેઢીના સંશોધકોને અત્યંત ધીરજ, ખંત અને નિષ્ઠાથી કામ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે સંશોધન એ નિરંતર પ્રક્રિયા છે અને સંશોધનની એક બારી ભવિષ્યના સંશોધન માટે કાયમ ખુલ્લી જ હોય છે.
પ્રારંભે આ સંસ્થાના નિયામક અને એમ.એસ યુનિવર્સિટીના પૂર્વ ડીન ડૉ.જગદીશ સોલંકીએ વડોદરાના કાર્યક્ષેત્ર અને ભાવિ આયોજન વિશે સવિસ્તાર ભૂમિકા રજૂ કરી કહ્યું કે આધાર પુરાવા અને નિષ્ઠાપૂર્વકના અભ્યાસ સાથે થતાં સંશોધનો અને એનાથી નીપજી આવતા તારણોની નોંધ હંમેશા ગંભીરતાથી લેવાતી હોય છે અને તેની સમાજજીવન માટે ઉપયોગીતા પણ ઘણી હોય છે.
આ સંસ્થાના સંસ્થાપકો પૈકીના એક અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાષા વિભાગના (નિવળત્ત) વડા ડૉ. મનુભાઈ મકવાણાએ સમગ્ર સેમિનારના સંચાલનનો દોર સંભાળ્યો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પૂર્વ નાયબ નિયામક પ્રવીણ શ્રીમાળી તથા સંસ્થાના હોદ્દેદારો સર્વ ડૉ. રાજેશ લકુમ, શ્રીગણપત રાઠોડ, ડૉ. દિપક મકવાણા, શ્રી રજનીકાંત પરમાર, શ્રી મળગેશ શેરડીવાલા તથા વડોદરા મહાનગર પાલિકાના કોર્પોરેટર શ્રીમતિ લીલાબેન મકવાણા તથા સંશોધન -વળત્તિ સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બીજા સત્રમાં પૂર્વ ન્યાયાધીશ શ્રી કે.બી.રાઠોડની અધ્યક્ષતામાં યોજાયેલા ચર્ચા સત્રમાં સર્વશ્રી ડૉ. જગદીશ સોલંકી, શ્રી જિમ્મી ડાભી અને શ્રી નિલેશ ભારતીએ પોતાના મનનીય વક્તવ્યો રજૂ કર્યા હતા. જેમાં સંશોધન સંસ્થાની ઉપયોગીતા, ભવિષ્યના વ્યવસાય અને તકો તથા વંચિતતા અને વિકાસ જેવા વિષય પર વિશદ ચર્ચા થઈ હતી.
સમાપન વક્તવ્યમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પૂર્વ અધિકારી શ્રી પ્રવીણ શ્રીમાળીએ સંશોધન દ્વારા બહાર આવતા નિષ્કર્ષો રાજ્ય સરકારને પણ નીતિ ઘડતરમાં બહુમૂલ્ય પુરવાર થતા હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
સમગ્ર પરિસંવાદની આભારવિધિ આઈ.આઈ.ટી મુંબઈના ડૉ. રજનીકાંત પરમારે કરી હતી.