ગુજરાતના આદિવાસી પ્રધાનો, સાંસદ, ધારાસભ્યોની દિલ્હીમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, જળમંત્રી શેખાવત સાથે યોજાયેલ મીટિંગમાં નિર્ણય લેવાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29
દક્ષિણ ગુજરાતમાં બજેટમાં જાહેર કરાયેલ પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાદ પૂર્વ આદિવાસી વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત સાથે ઠેર ઠેર આદિવાસીઓ દ્વારા વિરોધ આંદોલનનો દોર ચાલુ થઈ ગયો હતો. જેની ગંભીરતાને લઈ ગુજરાતના આદિવાસી પ્રધાનો, સાંસદો, ધારાસભ્યોનુંપ્રતિનિધિ મંડળે સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય નાણાંમંત્રી, પાણી મંત્રીની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પડતો મુકવાનો નિર્ણય લેવાયો હતો.
કેન્દ્રીય બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ પૂર્વ પક્ષના આદિવાસી વિસ્તારોમાં ધરમપુર, ડાંગ, નાનાપોંઢા અને ગાંધીનગરમાં પ્રોજેક્ટ વિરોધમાં પુરજોસમાં વિરોધ રેલીઓનો દોર વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને બીજા કોંગ્રેસના આગેવાનોના નેતૃત્વમાં ચાલુ થઈ ગયો હતો. આદિવાસીઓની જમીન જશે, ઘરો જશે તેવા ભાષણો સાંભળી આદિવાસી એકજૂટ થઈ ગયા હતા. મામલો વધુ વેતરાઈ ના જાય તે માટે સોમવારે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, જળ વિકાસ મંત્રી ગજેન્દ્ર શેખાવત સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વ હેઠળ આદિવાસી ધારાસભ્યો, સાંસદ, પ્રધાનોનું પ્રતિનિધિ મંડળની મીટિંગ યોજાઈ હતી. જેમાં પાર, તાપી, નર્મદા લિંક પ્રોજેક્ટ પરિયોજના સંદર્ભે પ્રવર્તમાન ગેરમાન્તાઓ આદિવાસી સમાજના હિતને લગતા મુદ્દાઓ ઉપર સવિશેષ ચર્ચા બાદ આ પ્રોજેક્ટ, યોજના સ્થગિત કરવાનો નિર્ણ લેવાયો હતો. મીટિંગમાં રાજ્ય મંત્રી કુબેર ડીડોર, વિધાનસભા દંડકરમેશભાઈ કટારા, સાંસદ ડો.કે.સી. પટેલ, પ્રભુભાઈ વસાવા, મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, રમીલાબેન બારી, પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભામોર, પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા, કલ્પસર-નર્મદા મંત્રી જીતુભાઈ ચૌધરી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યાં સુધી રિવર લિંક પ્રોજેક્ટ બંધ શ્વેતપત્ર દ્વારા જાહેરાત ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : ધારાસભ્ય અનંત પટેલ
પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યાર બાદ વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલએ આદિવાસીઓના આંદોલનના પ્રણેતા બનેલા, ધરમપુર, ડાંગ, નાનાપોંઢા અને છેલ્લા ગાંધીનગરમાં મોટી આદિવાસી સમાજને ઉશ્કેરી, ભાષણો કરી રેલીઓ યોજી હતી. ગઈ કાલે દિલ્હીમાં યોજોલ મીટિંગમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના ગૃહમંત્રી, નાણાંમંત્રી, સિંચાઈ જળ મંત્રીએ પડતો મુકવાની કરેલી જાહેરાતનો ધારાસભ્ય અનંત પટેલએ વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ છળ છે, પાછળથી યોજના અમલમાં આવશે. તેથી જ્યાં સુધી કેન્દ્ર સરકાર શ્વેતપત્ર બહાર પાડીને યોજના કેન્સલ કરે અને અમને એની કોપી ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આગામી તા.01 એપ્રિલના રોજ સોનગઢ, વ્યારામાં આદિવાસીરેલી યોજાવા જઈ રહી છે.