(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.03: બીલીમોરાશહેરમાં આવેલા સરદાર માર્કેટ વિસ્તારમાં હરસિધ્ધિ નામની આઈ ફેક્ટરી કાર્યરત છે. જેમાં ગત રાત્રે એમોનિયા ગેસ લીકેજ થવાની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ બીલીમોરા ફાયર વિભાગના અધિકારીઓને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતાં ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસે આઈસ ફેક્ટરીની આસપાસ આવેલા 40 જેટલા રેણાક વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યા હતા. ગેસ લીકેજના કારણે 40 થી વધુ લોકોને અસર થતાં તાત્કાલિક લોકો નીચે દોડી આવ્યા હતા અને બે વડીલોને વધુ શ્વાસ લેવામાં તકલીફ પડતા એકને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે તો અન્ય એક વડીલને ગણદેવી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે જ્યાં એમની હાલત સ્થિર જોવા મળી રહી છે.
ગેસ લીકેજ થવાની ઘટનાને લઈને બીલીમોરા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને ઘટનાની ગંભીરતાને જોતા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફેક્ટરીના ઈન્સ્પેક્શન માટે ખાસ વલસાડથી ટીમને પણ બોલાવવામાં આવી છે જેમણે પણ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. હાલ પ્રાથમિક માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં ચાલતી ફેક્ટરી જોખમીસાબિત થઈ શકે એવું પ્રતીત થઈ રહ્યું છે.
રહેણાંક વિસ્તારમાં ચાલતી આઈ ફેક્ટરીને લઈને હાલ તાલુકા વિકાસ અધિકારીએ ફેક્ટરીને સીલ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે આવી ઘટનાને લઈને બહુ જ પાઠ લઈને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગ ઉઠી રહી છે.