(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.31
સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીની તારીખ જાહેર કરાતા ઉદ્યોગપતિઓમાં ઉત્સાહ આવી જવા પામ્યો છે. આજરોજ એસઆઇએના સેક્રેટરી શ્રી સમીમભાઈ રીઝવીએ યોજનારી ચૂંટણીની વિગતવાર માહિતી રજૂ કરી હતી. કુલ 548 સભ્યોનું કદ ધરાવતી એસઆઈએના પ્રમુખ અને 12 એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર માટેની ચૂંટણી પ્રક્રિયા આવનારી 21/4/22 ના રોજથી નોમિનેશન ફોર્મના વિતરણ પ્રક્રિયાથી પ્રારંભ થશે. જેની છેલ્લી તારીખ 2/5/22 નક્કી કરવામાં આવી છે. તારીખ 5/5/22 ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે. અને તારીખ 7/5/22 ના રોજ ફોર્મ ઉમેદવારો પરત ખેંચી શકશે. ત્યારબાદ તારીખ 9/5/22ના રોજ ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં પ્રમુખ તરીકેનો મહત્વના હોદ્દો હાંસલ કરવા ઘણા અગ્રણી ઉદ્યોગપતિઓ મન બનાવી રહ્યા છે. જેમાંથી એક વર્ગ ચૂંટણી બિનહરીફ જાહેર થાય એવું પણ ઈચ્છી રહી છે. પરંતુ તે ત્યારે જશકય બને જેમણે એસઆઇએમાં પ્રમુખ સિવાયના હોદ્દા પર કામગીરી બજાવી હોય અને પ્રમુખ તરીકે કામ કરવાની તક નહી મળી હોય એવા ઉમેદવારને પ્રમુખ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે તો જ બિનહરીફ થવાની શકયતાની ચર્ચા બહાર આવી રહી છે.
હાલમાં તો પૂર્વ પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈએ ગતિવિધિ ચાલુ કરી દીધી છે. આ ઉપરાંત પૂર્વ સેક્રેટરી શ્રી કમલેશભાઈ ભટ્ટ, પૂર્વ સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, અગ્રણી શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી નિર્મલભાઈ દુધાની, શ્રી મૂળજીભાઈ કટારમલ વગેરેના નામોની ચર્ચા સામે આવી રહી છે. આ વખતે સ્થાનિક ઉદ્યોગપતિઓ પણ ચૂંટણીમાં મહત્વના હોદ્દા માટે રસ દાખવી રહ્યા છે.