(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી કલેકટરના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન અને કોતર નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બે દિવસથી ચાલી રહી છે.
બીજા દિવસે પણ સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલ ગામે અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા અને પાટી ગામે ગેરકાયદેસર બાંધકામોને દુર કરવામા આવ્યા હતા.
પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરવામા આવ્યો છે કે કોઈએ પણ સરકારી જમીન,સરકારી કોતર અથવા નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો પોતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને દુર કરવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં બાવીસા ફળિયા સહિત બીજા વિસ્તારોમા પણ નહેર પર આડેધડ ગેરકાયદેસર બાંધકામો કરવામા આવેલ છે એને પણ દૂર કરવાની કાર્યવાહી કરવામા આવશે કે કેમ એ એક ચર્ચાનો વિષય બન્યો છે.