(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ નગરપાલિકા દ્વારા પાણી, ગટર અને વાહનો પર અસહ્ય વધારા અંગે પાલિકા દ્વારા વાંધા, સૂચનો મંગાવતા માજી વિપક્ષ નેતા ગિરીશ દેસાઈ તથા માજી સભ્યો સંજય ચૌહાણ, ઝાકિર પઠાણ, નિતેશ વશી વિગેરે મિલકતદારોને અપીલ કરતા સદર વેરા વધારા સામે સખત વિરોધ સાથે વાંધા સૂચનો રજૂ કરવામાં આવી રહેલ છે. પાણી વેરો હાલમાં 660 રૂપિયા છે. જેમાં મિલકત વેરા પર 25 ટકા પરંતુ રૂપિયા 500 થી ઓછા નહીં જે મિલકતદારોનો મિલકત વેરો રૂપિયા 2000 તેને 25 ટકા વધારો 500 રૂપિયા ગણી શકાય પરંતુ જે મિલકતદારોનો મિલકત વેરો રૂપિયા 2000 થી નીચે જેવા કે મિલકત વેરો રૂપિયા 50 હોય તેને પણ રૂપિયા 500 નો વધારો પાણી વેરામાં દાખલ કરેલ છે. જેથી હાલમાં વેરો રૂપિયા 660 લેવામાં આવે છે. જેના પર નવો રૂપિયા 500નો વધારો થવાથી 50 રૂપિયાથી 1900 રૂપિયા સુધી મિલકત વેરો ભરનારને રૂપિયા 1160 પાણી વેરો ભરવાનું નગરપાલિકાએ દાખલ કરેલ છે. જે સદંતર ગેરવ્યાજબી છે. એજ રીતે ગટર વેરા પર પણ રૂપિયા 500 નો મિલકત દીઠ વધારો તથા વાહનો ઉપર 1 ટકા આજીવન ટેક્ષ અંગે સખતવાંધો જનતા દ્વારા થઈ રહ્યો છે. વાંધા સૂચનો અંગે રજૂઆત તથા અપીલના અંતિમ દિવસ સુધીમાં મોગરાવાડી વિસ્તારના વોર્ડ નં.3 અને વોર્ડ નં.4, (મિલકત આકારણી વોર્ડ નં.13, 14, 15) માંથી 1810 થી વધુ ધારકોએ આજરોજ ગિરીશ દેસાઈ, સંજય ચૌહાણ, વિજય પટેલ વગેરેની આગેવાનીમાં વાંધા, સૂચન, અપીલ અરજી રજૂ કરી હતી.
Previous post