ખાસ કરીને આફૂસ અને જમાદાર કેરીના પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસીનો ઉપદ્વવ વધુ જોવા મળે છે
સવારે ઠંડા પ્રહરમાં અથવા તો સાંજે 4 વાગ્યા પછીકેરી તોડવા સૂચન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: આંબાપાક વલસાડ જિલ્લાનો મુખ્ય ફળપાક છે. આંબાવાડીમાં આગામી મે-જુન માસમાં કેરીપાકનું ઉત્પાદન મળશે. આંબાની આફૂસ અને જમાદાર જાતોમાં ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)ને કારણે આંબાવાડીમાં અલગ અલગ પ્રમાણમાં નુક્શાન થાય છે. આ ઉપદ્રવ આફૂસ અને જમાદાર જાતની કેરીઓમાં વધારે જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમી જમીન પરથી પરાવર્તિત થતી ગરમી – લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન થાય છે. નુકસાનીવાળો ભાગ બરાબર પાકતો નથી તેને ફળ કપાસી તરીકે જાણવામાં આવે છે. આવા ફળો બહારથી પારખી શકાતા નથી. કેરી ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)થી કેરીપાકને નુક્શાન થતુ અટકાવવા માટે સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ખેડૂતોએ આફૂસ જાતના ફળો લીલા પણ પરિપક્વ હોય તેવા (૮૦% પરીપક્વતા) ફળ તોડવામાં આવે તો ફળ કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વધુ જોવા મળે છે. આંબાવાડીમાં ખુલ્લી જગ્યામાં ડાંગર કે અન્ય સૂકા ઘાસચારાનું પરાળ કે પાદડાંનુ આવરણ પાથરવાથી જમીન વધુ ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતા છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી જોઈએ એમ વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબાર યાદીમાં જણાવ્યું છે.