(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસુલ વિભાગ દ્વારા ત્રણ દિવસથી સરકારી જમીન અને સરકારી કોતર નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલી પટેલાદના અથાલથી લઇ ખરડપાડા ગામ અંકલાશ ગુજરાત હદ સુધી 28જગ્યા પર ગેરકાયદેસર બાંધકામોને જેસીબી વડે દુર કરવામા આવ્યા હતા અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના ચિંચપાડા,વાસોણા અને પાટી ગામના 32 જગ્યા પર ગેરકાયદેસર બાંધકામને દુરકરવામા આવ્યા હતા.
આવનાર દિવસોમા સેલવાસ વિભાગ દ્વારા દાદરા પટેલાદ અને ખાનવેલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદમા ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે. પ્રશાસન દ્વારા જનતાને અનુરોધ કરવામા આવ્યો છે કે કોઈએ પણ સરકારી જમીન, સરકારી કોતર અથવા નહેર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો પોતે જ હટાવી દે નહિ તો પ્રશાસન દ્વારા એને દુર કરવામા આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.