નવસારીઃતા.18 નવસારીના દશેરા ટેકરી ખાતે જલાલપોર તાલુકા પંચાયત કચેરીનું નવા મકાનનું ખાતમુહૂર્ત નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર ઉપિસ્થત રહયાં હતાં.
આ પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, અંદાજીત રૂા.૨૪૦ લાખના ખર્ચે જલાલપોર તાલુકા પંચાયત કચેરી નવનિર્મિત થનાર છે. આ નવું મકાન વિવિધ સુવિધા સાથે તૈયાર થશે. જલાલપોર તાલુકાની વર્ષો જૂની માંગણી પૂરી થઇ છે. રાજય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં સરકીટ હાઉસ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરીઓ જેવી કચેરીઓ સુવિધાસભર બનાવવામાં આવી છે. કચેરીએ આવતા અરજદારોની સુવિધા ઉપલબ્ધ થશે. સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે, કચેરીએ આવતાં અરજદારોને પૂરતું માર્ગદર્શન મળી રહે તેમજ યોજનાકીય માહિતી પૂરી પાડવા અનુરોધ કર્યો હતો. સરકારી નોકરી સિવાય પ્રાઇવેટ સેકટરમાં અનેક રોજગારીની તકો ઉપલબ્ધ છે તો તેનો લાભ લેવા જણાવ્યું હતું.
જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, જલાલપોર તાલુકા પંચાયતનું નવનિર્મિત મકાન રૂા.૨૪૦ લાખના ખર્ચે આધુનિક બનશે. હવે જલાલપોરના અરજદારોને વિવિધ સુવિધાઓ મળી રહેશે.
આ પ્રસંગે નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન પટેલ, જિલ્લા પંચાયત બાંધાકામ સમિતિના શ્રીમતી દિપાબેન પટેલ, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અર્પિત સાગર, અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહયા હતાં.