-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સ્પષ્ટ વાતઃ ‘‘ગરીબના ઘરમાં અજવાળુ થાય તેનાથી કોઈ મોટો સંતોષ નથી”
-
પ્રદેશના મેડિકલ અને એન્જિનિયરીંગના દરેક વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી યુવાનો માટે એક આશાનું કિરણ છે, દેશમાં છેલ્લા સાત વર્ષમાં 6ર ટકા જેટલી નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનો અને સૌથી ઓછા ખર્ચે શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.07
સંઘપ્રદેશની નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓએ આજે નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરીયમ ખાતે સમર્પણ દિવસ અને વ્હાઈટ કોટ સેરેમનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મેડિકલ કોલેજના બે તેજસ્વી વિદ્યાર્થીઓના સંગાથે દિપ પ્રાગટય કરી આજના કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રોડ, લાઈટ અને પાણીની સુવિધા તો થતી રહેશે, પરંતુપ્રદેશમાં મેડિકલ કોલેજની સ્થાપનાથી પ્રદેશના છેવાડેના લોકોનું ડોક્ટર બનવાનું સપનું સાકાર થયું છે. તેથી ગરીબના ઘરમાં અજવાળું થાય તેનાથી બીજો કોઈ મોટો સંતોષ નથી. તેમણે આઝાદીના 70 વર્ષ બાદ પહેલી વખત ગલોન્ડા જેવા આદિવાસી વિસ્તારની બે દિકરીઓ ડોક્ટર બની રહી છે. જેની પાછળ આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદૃષ્ટિ છે અને પ્રદેશના લોકો તેમના આભારી પણ છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નમો મેડિકલ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને એન્જિનિયરીંગ શાખાના વિદ્યાર્થીઓ માટે ખુબ જ ટૂંક સમયમાં પ્રશાસન દ્વારા લેપટોપની ભેટ આપવામાં આવનાર હોવાની જાહેરાત પણ કરી હતી. તેમણે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે પહેલા ફાળવાતી નેશનલ ક્વોટાની 8-10 એમબીબીએસ માટેની બેઠકની યાદ અપાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આર્શીવાદથી હવે નમો મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ મેળવવાની સુવર્ણ તક મળી છે. જેનો સંપૂર્ણ શ્રેય પણ પ્રધાનમંત્રીના યશસ્વી અભિગમને આપ્યો હતો.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી યુવાનો માટે એક આશાનું કિરણ છે. દેશમાં છેલ્લા સાત વર્ષમાં 6ર ટકા જેટલી નવી મેડિકલ કોલેજ શરૂકરવાનો અને સૌથી ઓછા ખર્ચે શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે એમબીબીએસના અભ્યાસક્રમ દરમિયાન 10 વિદ્યાર્થીઓના વિવિધ જુથો દ્વારા ગામોને દત્તક લેવાની પ્રક્રિયાની બાબતમાં સમજણ આપતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તમારે ગામડા સાથે જોડાવું પડશે. તેમના સુખ, દુઃખને ઓળખીને તેમને મદદ કરવી પડશે. તેમના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવાનું પણ આહવાન કર્યુ હતું અને સ્વચ્છ ભારત અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવવા પણ મેડિકલના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડોક્ટર એક અસાધારણ વ્યક્તિ છે અને તેની જવાબદારી પણ અસાધારણ છે. ઈશ્વર પછીનું બીજુ સ્વરૂપ એટલે ડોક્ટર. તેથી જે રીતે સમાજે તમારી કાળજી લીધી તેવી જ રીતે ડોક્ટર બન્યા પછી તમારે સમાજની ચિંતા કરવાની છે, સમાજને સ્વસ્થ રાખવા તમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક ભજવવા આહવાન કર્યુ હતું.
પ્રારંભમાં નમો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ધન્વન્તરી વંદના પ્રસ્તુત કરવામાં આવી હતી. આરોગ્ય સચિવ ડો. એ.મુથમ્માએ પ્રથમ વખત નેશનલ મેડિકલ કમીશનના ગાઈડલાઈન્સ પ્રમાણે આ સમર્પણનો કાર્યક્રમ યોજાય રહ્યો છે. તેમણે ચરક સંહિતાનામહત્વ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, આપણા ઋષિમુનિઓના સોનેરી ભવ્ય ભૂતકાળને ભૂલવો નહીં જોઈએ.
નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત નૃત્ય સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભારતીય રાષ્ટ્રવાદના મૂળ મંત્ર ‘વિવિધતામાં એક્તા’ને અર્થપૂર્ણ રીતે રજૂ કરાયો હતો.
સમર્પણ દિવસના કાર્યક્રમ અંતર્ગત નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયૂટ સેલવાસના વિદ્યાર્થીઓને વ્હાઈટ કોટ અને સ્ટેથોસ્કોપ આપી પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા સેરેમનીનું સમાપન કરાયું હતું.
વ્હાઈટ કોટ ડોક્ટરી આલમમાં ચિકિત્સા ક્ષેત્રે પ્રવેશ્યા બાદ તબીબી વ્યવસાય પ્રત્યે પ્રતિબદ્ધતા, સમર્પણ અને વફાદારીના સંસ્કાર દર્શાવે છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ‘ચરક શપથ’ પણ લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિર્દેશક ડો. વી.કે.દાસે આભારવિધિ આટોપી હતી. આ પ્રસંગે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશા ભંવર, સેલવાસ ન.પા.ના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિનભાઈ પટેલ, દીવ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણીયા, દમણન.પા.ના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, દાદરા નગર હવેલી અને દમણની જિલ્લા પંચાયત, નગર પાલિકાના સભ્યો, સરપંચો તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ અધિકારીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ નમો મેડિકલ કોલેજના પ્રાધ્યાપક અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.