વાપીના વકીલ શશાંક મિશ્રાએ કલેક્ટર અને હાઈવે
ઓથોરિટીને લેખિત ફરિયાદ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: ચાલુ ચોમાસા દરમિયાન વલસાડથી વાપી સુધીના હાઈવે ઉપર ઠેર-ઠેર મોટા જીવલેણ ખાડા અને પાણીનો ભરવો થવાની સમસ્યા વિકરાળ બનીચુકી છે. તેથી વાપીના વકીલએ બગવાડા ટોલ પ્લાઝા નજીક વાપી તરફ જતા હાઈવે ઉપર પડેલા મોટા ખાડાઓ અંગે જિલ્લા કલેક્ટર અને હાઈવે ઓથોરિટીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
વાપીના વકીલ શશાંકકુમાર એ. મિશ્રા માનવ અધિકાર ન્યાય મંડળ રાજ્યના કાઉન્સિલર છે, તેમણે 17 જુલાઈએ વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી અને હાઈવે ઓથોરિટીને કરેલી લેખિત ફરિયાદ અનુસાર બગવાડા ટોલનાકા નજીક વાપી તરફના રોડ ઉપર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. આર.સી.સી. ડિવાઈડર સમાંતર ખાડાઓ જીવલેણ બની શકે છે. નજીકમાં જ હાઈવે ઓથોરિટીના બેઠેલા અધિકારીઓને હાઈવેના ખસ્તાહાલ દેખાતો નથી. એ તો ઠીક પણ વાપી સુધી અનેક જગ્યાએ હાઈવે ઉપર ખાડા પડી ચૂક્યા છે. બલીઠા પુલથી ચારરસ્તા તરફ જતા સર્વિસ રોડ ઉપર તો બે હાલ થઈ ગયો છે. છતાં હાઈવે ઓથોરિટી અંર્તધ્યાન મુદ્રામાં છે પરિણામે આમ આદમીની હાલત દયનીય બની ચૂકી છે.