-
માછી સમાજના આરાધ્ય દેવ સમુદ્ર નારાયણ ભગવાનની દર ગુરૂવારે થનારી મહા આરતી
-
સમુદ્ર નારાયણ ભગવાન માછી સમાજની ઓળખ અને આસ્થાનું કેન્દ્રઃ પૂર્વ સાંસદ ગોપાલ દાદા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 07
નાની દમણ જેટી ખાતે ભવ્ય આકાર લેનારા સમુદ્ર નારાયણ મંદિરના સ્થાનક આગળ અને અરબી સમુદ્રના સાંનિધ્યમાં આજે દમણના માછી સમાજ દ્વારા વિશાળ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માછી સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે માછી સમાજના આગેવાન નેતા અને દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાળભાઈ કે.ટંડેલ(દાદા) અને અન્ય માછી સમાજના આગેવાનોની પહેલથી પ્રશાસન દ્વારા સમુદ્ર નારાયણ મંદિરના નિર્માણ માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. આ સ્થળે ભવ્ય સમુદ્ર નારાયણ મંદિરનું નિર્માણ પણ થવાનું છે.તેની સાથે સાથે પરંપરાગત રીતે પ્રત્યેક ગુરુવારે સમુદ્ર નારાયણ મંદિરના સ્થળના સાંનિધ્યમાં મહાઆરતી આયોજનને આજથી આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
શ્રી મોહિત મિશ્રાએ જણાવ્યું હતું કે, સમુદ્ર નારાયણ ભગવાન માછી સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને દમણના માછી સમાજની આસ્થાને ધ્યાનમાં રાખી નાની દમણ જેટી ખાતે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે માછી સમાજના નેતા અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલદાદાએ જણાવ્યું હતું કે, સમુદ્ર નારાયણ ભગવાન માછી સમાજની ઓળખ છે. માછી સમાજના નેવુ ટકા લોકો સમુદ્ર નારાયણ ભગવાનની કૃપા ઉપર જીવે છે. માછી સમાજનો દરેક વ્યક્તિ સવારે ઉઠીને સૌથી પહેલા સમુદ્ર નારાયણને પ્રણામ કરી પોતાના દિવસની શરૂઆત કરે છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ નાની દમણ જેટી ખાતે સમુદ્ર નારાયણ ભગવાન મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જે અગામી પાંચ મહિનામાં પૂર્ણ થશે.
આ પ્રસંગે આચાર્ય શ્રી સંજય પંડિતે મહાઆરતીને સંપન્ન કરાવી હતી. મહાઆરતીમાં પૂર્વ સાંસદ શ્રી ગોપાલદાદા સહિત માછી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં માછી સમાજની બહેનોએ ભાગ લીધો હતો.