દીકરીઓને સેનેટરી નેપકીન્સ તથા જાગૃતિ અંગેના પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: જાયન્ટ્સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા દીકરીઓને ધ્યાનમાં લઈ જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. યોગિની રોલેકરના વક્તવ્યનું વિદ્યાલક્ષ્મી કન્યા છાત્રાલય, કાંજણ રણછોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થામાં ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારની ઘરપરિવારથી દૂર રહી અભ્યાસ કરતી લગભગ 60 જેટલી દીકરીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. વક્તવ્યમાં ડૉ. યોગિની રોલેકરે માસિક ધર્મ અંતર્ગત ઊભી થતી સમસ્યાઓ તથા ‘ગુડ ટચ તેમજ બેડ ટચ’ અંગેની વિગતવાર ચર્ચા કરી હતી. તેમને હાઈજેનિક બાબતોનો સાચો ખ્યાલ આપવામાં આવ્યો હતો. વક્તવ્યના અંતે પ્રશ્નોત્તરી દ્વારા દીકરીઓને નાનીમોટી સમસ્યાઓ, માન્યતાઓનું નિરાકરણ થયું સાથે મેડિકલ સાયન્સની સાચી સમજ પ્રાપ્ત થઈ.
કાર્યક્રમમાં દીકરીઓને સેનેટરી નેપકીન્સ તથા જાગૃતિ અંગેના પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વલસાડ જા. તસનીમ કાપડીઆ દ્વારા 90 કિલો જેટલાં ઘઉં આપવામાં આવ્યાં હતા.
છાત્રાલય સંસ્થાના સંચાલકશ્રી અજીતભાઈ પટેલ તથા જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ ડો. આશા ગોહિલ દ્વારા આયોજિત વક્તવ્યમાં જા. હાર્દિક પટેલ, જા.જગદીશ આહીર, જા. અર્ચના ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં.