-
શનિવારથી આદિવાસી ભવન સેલવાસ અને નેન્સી કોમ્પ્યુટર ક્લાસ ખાનવેલ ખાતે ટેલી, સીસીસી અને બેઝિક કોમ્પ્યુટર કોર્સના પ્રથમ બેચનો થયો આરંભ
-
કોમ્પ્યુટર પ્રશિક્ષણ સિવાય અન્ય 10 આત્મનિર્ભર બનાવતા સ્વરોજગારની પણ તાલીમની થનારી શરૂઆતઃ દાનહના આદિવાસી ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને મળનારી સ્વર્ણ તક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીના આદિવાસી વિકાસ સંગઠનના કારોબારને પ્રશાસન હસ્તક લીધા બાદ આદિવાસી ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ સ્વરોજગારની તાલીમ આપવાનો નવતર કાર્યક્રમ સેલવાસના આદિવાસી ભવન ખાતે શરૂ થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના આદિવાસી વિકાસ સંગઠનના તત્કાલિન સંચાલકો દ્વારા આદિવાસી ભવનનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરાતો હતો. તેના સ્થાને હવે પ્રશાસને આદિવાસી ભવન સેલવાસ ખાતે 18 થી 45 વર્ષની વયના આદિવાસી ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમની શરૂઆત તા.9મી સપ્ટેમ્બરથી કરવામાં આવી છે.
પ્રથમ બેચમાં ટેલી, સીસીસી અને બેઝિક કોમ્પ્યુટર કોર્સનો સમાવેશ થાય છે. આ વર્ગ સવારે 9 વાગ્યાથીસાંજે 7 વાગ્યા સુધી આદિવાસી ભવન સેલવાસ ખાતે અને ખાનવેલમાં નેન્સી કોમ્પ્યુટર ક્લાસ સેન્ટર ઉપર શરૂ કરાયો છે.
દાદરા નગર હવેલીના આદિવાસી ભાઈ-બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રશાસન દ્વારા (1) સિલાઈ પ્રશિક્ષણ (2) બ્યુટીપાર્લર પ્રશિક્ષણ (3) પુરૂષ પાર્લરની સાથે સાથે સેલૂન પ્રશિક્ષણ (4) દ્વિચક્રી વાહનોના સમારકામનું પ્રશિક્ષણ (5) લાઈટ મોટર વ્હીકલ ચલાવવા (ડ્રાઈવિંગ)નું પ્રશિક્ષણ (6) સેલફોન(મોબાઈલ) રિપેરિંગ કરવાનું પ્રશિક્ષણ (7) ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનું પ્રશિક્ષણ (8) પ્લમ્બિંગ કાર્યનું પ્રશિક્ષણ (9) મેશનરી (કડિયાકામ)નું પ્રશિક્ષણ અને (10) કારપેન્ટરી(સુથારીકામ)ના પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે દાદરા નગર હવેલીના આદિવાસી ભાઈ-બહેનોને પોતાનો સ્વરોજગાર શોધવા અનુકૂળતા રહેશે.
18થી 45 વર્ષના આદિવાસી ભાઈ-બહેનો પોતાનું આવેદનપત્ર ભરી આદિવાસી ભવન સેલવાસ ખાતે આદિવાસી વિકાસ સંગઠનના કાર્યાલયમાં જમા કરવા જણાવાયું છે.