-
દરરોજ અને સમયાંતરે દમણગંગા જળાશય યોજના અંતર્ગત મઘુબન ડેમ મારફત દમણના દુણેઠા અને ભીમ તળાવમાં પાણી ઠલવાતું હોવા છતાં કટોકટીના સમયે ઉપયોગમાં આવી શકે તે પ્રકારનો અનામત જથ્થો કેમ રખાતો નથી ?
-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી ટેન્કર માફિયાઓના ન્યુસન્સને મહ્દ અંશે નાબુદ કર્યો હોવા છતાં ઠેર-ઠેર પાણીની બૂમ પડતા જાહેર બાંધકામ વિભાગ, જિલ્લા પંચાયત કે નગર પાલિકાને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની ઉભી થતી આવશ્યકતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17
દમણના જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીના કારણે દર વર્ષે ઉનાળામાં દેવકા, કડૈયા, દુણેઠા, ભીમપોર તથા ખારીવાડ જેવા વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થાય છે. દમણગંગા જળાશય યોજના દ્વારા મધુબન ડેમમાંથી દરરોજ અને સમયાંતરે પાણીનો પુરતો પૂરવઠો ラદુણેઠા અને મોટી દમણના ભીમ તળાવમાં ઠલવાતો હોવા છતાં લોકોને પુરતા જથ્થામાં પાઈપલાઈન મારફત પાણી નહીં મળતુ હોવાની બૂમરાણ છાશવારે પડતી રહે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશમાંથી ટેન્કર માફિયાઓનાન્યુસન્સને મહ્દ અંશે નાબુદ કર્યો હોવા છતાં ઠેર-ઠેર પાણીની બૂમ પડતા જાહેર બાંધકામ વિભાગ, જિલ્લા પંચાયત કે નગર પાલિકાને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની આવશ્યકતા ઉભી થાય છે.
તાજેતરમાં ખારીવાડ, મશાલચોક, દુણેઠા, ભીમપોર જેવા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી નહીં આવતા અહિના રહેવાસીઓને ભારે અગવડતાનો સામનો કરવા પડી રહ્યો છે. આ વિસ્તારમાં પાણીના અભાવે મુસ્લિમ વિસ્તારોમાં રમઝાન માસ દરમિયાન તેમની સ્થિતિ પણ કફોડી બનવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે જાહેર બાંધકામ વિભાગ મધુબન ડેમમાંથી આવતી પાણીની લાઈનનું દાદરામાં ભંગાણ થયું હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિષ કરી રહ્યુ છે. પરંતુ દુણેઠાના તળાવમાં પાણીનો રિઝર્વ પૂરવઠો કેમ સચવાતો નથી તેની બાબતમાં પણ યોગ્ય તપાસ કરવાની જરૂરિયાત દેખાય રહી છે કારણ કે, કેટલાક ઉદ્યોગોમાં નહેર મારફત સીધુ પાણી મળી રહ્યુ હોવાની જાણકારી પણ સામે આવી રહી છે ત્યારે ઉદ્યોગોની જરૂરિયાત સામે નાગરિકોને તરસ્યા રાખવાની નીતિ સુસંગત નહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બાબતે સંઘપ્રદેશ પ્રશાસન યોગ્ય નીતિ વિષયક નિર્ણય લઈ ભવિષ્યમાં પાણીની તકલીફ નહીં પડે એવું આયોજન એ સમયની માંગ છે.——–