જીએસટી વિભાગના અધિકારીઓએ ગ્રામ્ય અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયાની વિસ્તારથી આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શનમાં પ્રશાસનના જીએસટી વિભાગ દ્વારા મોટી દમણની દમણવાડા ગ્રામ પંચાયતમાં જીએસટી રજીસ્ટ્રેશન અને જાગરૂકતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જીએસટી વિભાગના અધિકારીઓએ ગ્રામ્ય અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયાની વિસ્તારથી જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દમણની તમામ પંચાયતોમાં 30 એપ્રિલ, ર0રર સુધી આ પ્રકારના રજીસ્ટ્રેશન કેમ્પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પમાં ગ્રામ પંચાયતના લોકોને સહજતાથી જીએસટી રજીસ્ટ્રેશન અને તેને સંબંધિત ફાયદાઓ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, જીએસટીવિભાગ, દમણ દ્વારા 25થી 30 એપ્રિલ સુધી જીએસટી રજીસ્ટ્રેશન સપ્તાહનું ઉજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટીના ફાયદા તથા તેની સરળ પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી આપવામાં આવશે. સાથે સાથે જીએસટી રજીસ્ટ્રેશન માટેની જરૂરી સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે.
આ કેમ્પમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, જીએસટી અને વેટ વિભાગના અધિકારી, ઉદ્યોગ જગતના વેપારી, ઉદ્યમી, ગ્રામીણ અને સ્થાનિક જનપ્રતિનિધિ વિભાગના અન્ય જીએસટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.