(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.19
સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે દર્દીઓને વધુ સારી સારવાર અને સલાહ મળી રહે તે માટે તમામ જિલ્લામાં ઈ- સંજીવની ઓ.પી.ડી. અને ઇ-સંજીવની ટેલી કન્સલ્ટન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને તજજ્ઞ દ્વારા ઓનલાઈન સારવાર અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
ઉક્ત હેતુને સિધ્ધ કરવા માટે વલસાડ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ કટિબધ્ધ છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલી બાયર ઈન્ડસ્ટ્રી દ્વારા તેઓના સી.એસ.આર. (કોર્પોરેટ સોસીયલ રીસ્પોન્સીબીલીટી) હેઠળ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ટેલી કન્સલ્ટન્ટસીની સેવાઓ વધુ સારી રીતે આપી શકાય એવા ઉમદા હેતુથી કોમ્પ્યુટર સેટઅપ અને એક કર્મચારી આપવામાં આવ્યો છે. આ માટે વિષેશ રીતે ટેલિરેડ કંપની-બેંગ્લોરનો બાયર કંપનીએ સહકાર લીધો છે.
ગુજરાત સરકાર સાથે નિયત એમ.ઓ.યુ. કર્યા બાદ વલસાડ જિલ્લાનાં વાપી તાલુકામાં પ્રારંભિક તબક્કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છીરી અને કરવડ તેમજ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરા એમ ત્રણ સ્થળોએ ટેલી કન્સલ્ટન્ટસીની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ટેલી હેલ્થ સેન્ટર અંતર્ગત ઈ-સંજીવની ટેલીમેડિસીન મારફત દર્દીઓનેટેલીફોનિક વિડિયો કોલથી તજજ્ઞો દ્વારા સારવાર આપવામાં આવશે. જેમાં ફીઝીશીયન, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન, કાર્ડીઓલોજીસ્ટ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ, કાન-નાક-ગળાના તજજ્ઞ, ચામડીની ખામીને લગતા તજજ્ઞ, મનોચિકિત્સક, પલ્મોલોજીસ્ટ, ન્યુરોલોજીસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સારવાર આપવામાં આવશે અને જરૂરીયાતના કિસ્સામાં લેબોરેટરી તપાસ તથા દવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આજ રોજ વાપી તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છીરી ખાતે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત વલસાડ અને બાયર કંપની, વાપીનાં સહયોગથી ટેલી હેલ્થ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. સંદિપ નાયક, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મૌનિક પટેલ, બાયર કંપનીના ડાયરેક્ટર નરેન્દ્ર શાહ, બાયર કંપનીના કો-ફાઉન્ડર સરીતાબેન તેમજ પ્રમોદભાઈ, ઉમાબેન, શિલ્પાબેન તેમજ છીરી ગ્રામ પંચાયતના સરપંચ ઈરામબેન ચૌધરી અને છીરી ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતીમાં આ અંગે અવેરનેશ માટે ફોર્મલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ટેલી હેલ્થ સેવાનો બહોળી સંખ્યામાં લોકો ઉપયોગ કરે એવી લાગણી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.