-
2191 દિવસના પ્રશાસક કાળ દરમિયાન પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની ફક્ત રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક નકશામાં પણઅપાવેલી આગવી ઓળખ
-
29મી ઓગસ્ટથી શરૂ થનારા 7મા વર્ષના કાર્યકાળને વધાવવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોમાં દેખાતો આનંદ અને ઉત્સાહનો માહોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશ સાથે શરૂ કરેલી સહયાત્રાના અગામી તા.29મી ઓગસ્ટના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેઓ પ્રશાસક તરીકેના 2191 દિવસ 28મી ઓગસ્ટના રોજ પૂર્ણ કરશે.
છેલ્લા 6 વર્ષ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવની નવી ઓળખ બનાવવા તેઓ ફક્ત રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સફળ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન પ્રદેશના લોકોને પહેલી વખત વિકાસ કોને કહેવાય તેની ખબર પડી છે.
ગયા વર્ષે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોએ પ્રશાસન સાથે સ્વયંભૂ જોડાઈ સહયાત્રાને ઐતિહાસિક બનાવી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રદેશ પ્રત્યેના ઋણને ચુકવવાનો પ્રયાસ કર્યો હતો. આ વર્ષે પણ સામાન્ય લોકોમાં શ્રી પ્રફુલભાઈ પટેલના પ્રશાસક તરીકેના 7મા વર્ષના આગમનને વધાવવા માટે આનંદ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તેઓ હજુ વધુ સમય પ્રદેશની સેવા માટે રહેવા જોઈએ એવી લાગણી છેવાડેના લોકોમાં ખાસ વ્યક્ત થઈ રહી છે.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની ભાવિ પેઢીના વિકાસને ધ્યાનમાં રાખી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા દીર્ઘદૃષ્ટિ ભરેલા આયોજનના કારણે આજે યુવા શક્તિમાં પણ નવો જોશ દેખાઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે પણ આભારની લાગણી પ્રગટ થઈ રહી છે.