આઈટીઆઈનો પણ પ્રારંભ થનાર હોય દર વર્ષે 500 યુવા-યુવતીઓ ટ્રેનિંગ મેળવી રોજગાર મેળવશેઃ કોઠારી સ્વામી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ઈ.સ.1968માં બીએપીએસના ગુરૂવર્ય બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આર્શીવાદ આપતા કહ્યું હતું કે, ધરમપુરમાં એક મોટું મંદિર થશે અને સૌ વનવાસીઓ સત્સંગ કરશે. તેમના વચનો આજે સાચા ઠર્યા છે. બીએપીએસ સંસ્થા દ્વારાધરમપુરમાં ધવલ ત્રિશિખરીય મંદિરનું સ્વ સાકાર થતા પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
બીએપીએસ સંસ્થાના વર્તમાન ગુરૂ મહંતસ્વામી મહારાજ દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્વામિનારાયણ મંદિરની અમૂલ્ય ભેટ ધરમપુરને મળી છે. મંદિરને જાહેરજનતા માટે ખુલ્લુ મુકતા પૂ.કોઠારીબાપાએ સૌ ભક્તોને મંદિરનો લાભ લઈ જીવન શુધ્ધ અને પવિત્ર રાખી જીવન ઉત્કર્ષ માટે જોડાણ કરવા આહવાન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, અહીં ટૂંક સમયમાં શરૂ થનાર આઈટીઆઈ (પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર) દ્વારા દર વર્ષે 500 યુવા-યુવતી ટ્રેનિંગ મેળવી રોજગાર મેળવી પોતાના પરિવાર માટે આશાનું કિરણ બનશે. આ માટે સંસ્થાએ વિના મૂલ્યે ભોજન, રહેણાંકની વ્યવસ્થા અને તાલીમનું આયોજન કર્યું છે. મંદિરમાં રાધાકળષ્ણદેવ, હનુમાનજી, ગણપતિજી, ગુરૂપરંપરા, અક્ષરપુરૂષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ સાથે સહજાનંદ સ્વામીશ્રી સ્વામિનારાયણ ભગવાનની જલાભિષેક મૂર્તિની વિધિવત પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 6 હજારથી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં સંસ્થાના સદ્ગુરૂવર્ય પૂ.વિવેકસાગરદાસ, પૂ. ઘનશ્યામચરણદાસ, પૂ.ભક્તિપ્રિયદાસ અને બીએપીએસ સંસ્થાના6 મંદિરના પૂ.કોઠારીસ્વામી અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિષ્ઠા સભામાં રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા અને મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારીસ્વામી પૂ. વિવેકસ્વરૂપદાસજીએ સૌનો આભાર માન્યો હતો.