-
દાનહના ખાતે ભારત સરકારની તમામ યોજનાઓને અસરકારક રીતે લાગુ કરી લાભાર્થીઓ સુધી સીધી પહોંચે તે બાબતે પ્રશાસન ખુબ જ સક્રિય અને સંવેદનશીલઃ ડો. રાકેશ મિન્હાસ
-
દાનહમાં આઈકોનિક વીકની સફળતાપૂર્વક ઉજવણીનો આરંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
દાદરા નગર હવેલી અને દમણ-દીવના સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઈકોનિક વીકની ઉજવણીના સંદર્ભમાં રખોલી પંચાયત ખાતે જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના અધ્યક્ષસ્થાને આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાનહના જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસે ભારત સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે દાદરા નગર હવેલી ખાતે પણ ભારત સરકારની તમામ યોજનાઓને અસરકારક રીતે લાગુ કરી લાભાર્થીઓ સુધી સીધી પહોંચે તે બાબતે પ્રશાસન ખુબ જ સક્રિય અને સંવેદનશીલ હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મુદ્રા લોન સહિત વિવિધ યોજનાઓના 103 લાભાર્થીઓને લગભગ રૂા.32 કરોડના ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
બેંક ઓફ બરોડાના એજીએમ શ્રી રામનરેશ યાદવે દાદરા નગર હવેલી ખાતે બેંક ઓફ બરોડા દ્વારા ભારત સરકારની યોજનાઓનેલાગુ કરવા કરાયેલા પ્રયાસની માહિતી આપી હતી અને દાદરા નગર હવેલી ખાતે ભારત સરકારની વિવિધ યોજના અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા લાભાર્થીઓને સૌથી વધુ ધિરાણ આપવામાં આવેલ હોવાની માહિતી પણ આપી હતી.
આ પ્રસંગે જન સમર્થ પોર્ટલ અંગે પણ માહિતી આપવામાં આવી હતી જેનો ઉપયોગ સામાન્ય લોકો માટે પણ સરળ રહેશે એવો દાવો કરાયો હતો.
આ કાર્યક્રમમાં દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, રખોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલ, જિ.પં.સભ્ય શ્રી દિપકભાઈ પ્રધાન, જીએસટી વિભાગના અધિકારીઓ, બેંકના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.