(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામે છેલ્લા ત્રીસેક વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો કરી રાખતા પોલીસે ચાર જેટલા સામે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધની કાયદાની જોગવાઈ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદી દ્વારા મે-2021 માં મહેસુલ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાનવેરી કલ્લા ગામના બ્લોક નંબર 28, 134, 169, 600, 602, 1505, 1773 વાળી ફરિયાદી ધર્મેન્દ્રસિંહ ભીખુસિંહ પરમાર (રહે.701/સાતમો માળ અરિહંત એપાર્ટમેન્ટ આરએમ પાર્કની સામે તિથલ રોડ તા.જી.વલસાડ) ની વડીલોપારજીત જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી રાખી તેઓને કબ્જો ન આપી જમીન પર જતાં અટકાવી અવાર નવાર ગાળાગાળી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખેતી પણ ન કરવા દેતા આ અંગે તેમણે જમીનનો કબ્જો મેળવવા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ મહેસુલ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી હતી. જેના સંદર્ભે આ અધિનિયમ હેઠળ રચાયેલ સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને 21/09/22 ના રોજ મળી હતી. જેમાં પ્રથમ દ્રષ્ટિએ ગુનો સ્થાપિતથતો હોવાથી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
જે સંદર્ભે પોલીસે લેન્ડ ગ્રેબિંગના કાયદાની જોગવાઈ મુજબ ડાહીબેન ઈશ્વરસિંહ પરમાર, પંકજસિંહ ઈશ્વરસિંહ પરમાર, વિમલસિંહ ઈશ્વરસિંહ પરમાર, અનુપસિંહ છગન લાલ પરમાર (તમામ રહે.રાનવેરી કલ્લા તા.ચીખલી જી.નવસારી) એમ ચાર જેટલા સામે ગુનો નોંધી તપાસ ડીવાયએસપી એસ.કે.રાયે હાથ ધરી હતી.