હવે કાર્યકર્તાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની દીવ મુલાકાતને સફળ બનાવવા કામે જાતરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.08
દીવમાં ભાજપ દ્વારા કેટલાક દિવસોથી ‘જન સંપર્ક યાત્રા’ યોજાઈ રહી હતી જેનું આજે સમાપન કરાયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ 11મી જૂનના શનિવારે દીવની મુલાકાતે આવી રહ્યા છે. એમની રેલીને સફળ બનાવવા કાર્યકર્તાઓ જોતરાઈ ગયા છે. આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે 13 વોર્ડની લીધી મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ સાંભળી એના નિરાકરણની ખાતરી આપી હતી.
ગત ત્રણ દિવસથી રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રીમતી વિજ્યા રહાટકર તેમજ પ્રદેશના સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકરના નેતૃત્વમાં દીવ નગરપાલિકાની ચૂંટણી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની દીવ મુલાકાતને લઈ ‘જનસંપર્ક યાત્રા’નું આયોજન કરાયું હતું, જેમાં દીવ ભાજપના ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા, જિલ્લા પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, પ્રદેશ મહિલા મોર્ચાના ઉપપ્રમુખ શ્રીમતી અશ્વિનીબેન ભાતભાઈ, જિલ્લા પ્રમુખ શ્રીમતી અંશુયા કિશોર, યુવા મોર્ચાના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ચિંતક સોલંકી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
દીવ નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપની ‘જનસંપર્ક યાત્રા’ દરેક ફળિયા મહોલ્લાએ પહોંચી હતી. યાત્રાનું સ્વાગત દિવના રહીશોએ ધામધૂમથી ફૂલહાર તેમજ વિજયતિલક કરી કર્યું હતું. આ સમયે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા અનેક યોજનાઓ તૈયાર કરાય છે જેનો સીધો લાભ પ્રદેશવસીઓને મળ્યો છે. દીવ જેવા ટચૂકડા શહેરને સ્માર્ટ સિટીમાં સરકારે સમાવી ચારેકોર વિકાસની જ્યોત અવિરત પ્રગટાવી છે. લોકોને પોતાના પ્રદેશમાં જ રોજગાર મળી રહે એ માટે દીવના પર્યટન સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે જેવી વિવિધ યોજનાઓ તથા તેમના લાભો વિશે દીવને જનતાને માહિતી આપી હતી.