ઉમેદવારી પત્રક ભરવાની રેલીમાં કોંગ્રેસના કાર્યકરોમાં છલકાયેલો આનંદ-ઉત્સાહ
દમણ-દીવમાં મોટાભાગના યુવાનો બેરોજગારઃ યુવાનોને નશીબ નથી થતી સરકારી નોકરીઃ કોંગ્રેસ આવશે તો પહેલાંની જેમ સી અને ડી-ગ્રુપની ભરતી પ્રદેશના ડોમિસાઈલ ધરાવતા ઉમેદવારોમાંથી જ કરાવવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે વ્યક્ત કરેલો નિર્ધાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.19: લોકસભાની દમણ અને દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે આજે સેંકડો સમર્થકોની ઉપસ્થિતિમાં રોડ શો યોજી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું.
ઉમેદવારી પત્રક ભરવા પહેલાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે મોટી દમણના મચ્છી માર્કેટ પાસે નગરપાલિકાના પાર્કિંગ પ્લોટમાં વિશાળ જાહેર સભા યોજી હતી. કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ચૂંટણી હું નથી લડી રહ્યો, પરંતુ આપણે લડી રહ્યા છીએ. તાનાશાહીના વિરૂદ્ધમાં દમણ અને દીવની જનતા ચૂંટણી લડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, તાનાશાહી ત્યારે જ નાબૂદ થશે જ્યારે કોંગ્રેસના નિશાન પંજા ઉપર ઈવીએમનું બટન દબાવી અહીંથી કોંગ્રેસને વિજેતાબનાવશો. તેમણે જણાવ્યું હતું કે, આજે દમણ અને દીવમાં મોટાભાગના યુવાનો બેરોજગાર છે. તેમને સરકારી નોકરી મળતી નથી. શ્રી કેતનભાઈ પટેલે યાદ અપાવ્યું હતું કે, જ્યારે તેમના પિતા શ્રી ડાહ્યાભાઈ પટેલ સાંસદ હતા ત્યારે દમણ અને દીવમાં સી-ગ્રુપની તમામ ભરતીઓ સ્થાનિક ડોમિસાઈલ ધરાવતા ઉમેદવારોમાંથી જ કરાવવામાં આવતી હતી. આજે પોલીસથી માંડી બીજી સરકારી નોકરીમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, યુ.પી., બિહાર, કેરલ, રાજસ્થાન, તામિલનાડુ જેવા પ્રદેશના લોકો અહીં આવી ગયા છે. કોંગ્રેસના શાસનમાં પોલીસ, પટાવાળા, એલ.ડી.સી., યુ.ડી.સી. જેવા સી અને ડી-ગ્રુપની સરકારી ભરતી માત્ર અને માત્ર દમણ અને દીવના સ્થાનિક લોકોમાંથી જ કરવામાં આવતી હતી.
શ્રી કેતનભાઈ પટેલે વિશ્વાસ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, જો તેઓ ચૂંટાઈને આવશે તો પહેલાંની માફક દમણ અને દીવના સ્થાનિકોને જ સરકારી નોકરી મળે તેવી સો ટકા વ્યવસ્થા કરશે.
કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલે ભાજપના વિકાસના દાવાની ધજ્જિયાં ઉડાવતાં જણાવ્યું હતું કે, ટચૂકડાં દમણમાં 6 લેનના રોડની શું જરૂરિયાત છે? તેમણે ગોવાનું દૃષ્ટાંત આપતા જણાવ્યું હતું કે, ગોવામાં હજુ પણ સાંકડા રોડમાંથી પસાર થવું પડે છે. કારણ કે, રસ્તાના ભોગે કોઈનુંમકાન કે બિલ્ડીંગ નહીં તૂટે તેની દરકાર રાખવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, આપણને દમણ-દીવના જેવા વિકાસની જરૂરત નથી, આપણને જોઈએ છે રોજગારી.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી કેતનભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી અમીબેન પટેલે પણ સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, દીવથી બે બસ ભરીને મહિલાઓ શ્રી કેતનભાઈ પટેલના જુસ્સાને વધારવા માટે આવી છે. મોટી દમણ માર્કેટથી પગપાળા કલેક્ટરાલય સુધી રેલી પહોંચી હતી. આ રેલીમાં દમણના મોટાભાગના પૂર્વ સરપંચો, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય, પૂર્વ કાઉન્સિલરો તથા વર્તમાન કાઉન્સિલર શ્રીમતી ફિરદોશ બાનુ ઈમ્તિહાઝ, કચીગામના શ્રી તનોજ પટેલ, યુવક કોંગ્રેસના શ્રી મયંક પટેલ સહિત સ્થાનિકોની હાજરી મોટી હતી.