સંચાર મંત્રીની મુલાકાતથી જનઔષધિ કેન્દ્રના સંચાલકોનો વધેલો ઉત્સાહઃ જેનેરિક દવાને પ્રોત્સાહનઆપવાની નીતિથી સામાન્ય જનતા પણ પ્રભાવિત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવેલા ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણે સેલવાસમાં જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ દુકાનમાં ઉપસ્થિતો સાથે વાતચીત કરી દરેક ચીજો અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન સ્થળ પર ઉપસ્થિત સંઘપ્રદેશ આરોગ્ય નિર્દેશક ડો.વી.કે.દાસે મંત્રીશ્રીને જન ઔષધિથી થઈ રહેલ લોકોને ફાયદા અંગે અવગત કર્યા હતા અને જેનરિક દવાઓ પ્રત્યે કેવી રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તે અંગે પણ જાણકારી આપી હતી. મંત્રીશ્રીની મુલાકાતથી દરેક સંચાલકોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દર્દીઓને સસ્તી અને સારી દવાઓ ઉપલબ્ધ થઈ રહી છે અને કેટલાક દર્દીઓ દવા લેવા માટે આવ્યા હતા તેઓ સાથે પણ વાત કરી અને દરેકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ, ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય નિર્દેશક ડો. વી.કે.દાસે જણાવ્યું હતું કે જનઔષધિ જે દરેક દર્દીઓને સસ્તી અને સારી દવા મળે એવું લક્ષ્યપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિચાર્યું હતું એને આરોગ્ય વિભાગ પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં પૂર્ણ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે જનઔષધિ કેન્દ્રની મુલાકાત લીધી અને ઘણાં પ્રભાવિત થયા હતા. લોકો સુધી સરકારની યોજના અંતર્ગત જન ઔષધિથી જેનરિક દવાઓ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. દાનહમાં કુલ 21 જનઔષધિ કેન્દ્ર છે જેના પર દર્દીઓને સારી અને સસ્તી દવાઓ સરળતાથી મળી શકે છે. આરોગ્ય વિભાગ હંમેશા જન જન સુધી સારી અને ઉચ્ચ આરોગ્ય સેવા પહોંચે એના પર કામ કરી રહી છે અને જેનરિક દવા પ્રત્યે દરેકને જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી જન ઔષધિ કેન્દ્ર પરથી દવા લઈ શકે અને એનો ફાયદો સમજી શકે.