કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુભાઈ ચૌહાણે પ્રદેશના વિવિધ વિકાસના કામોની લીધેલી મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના સફળ 8 વર્ષ સંપન્ન થવાના અવસર પર ભાજપા દ્વારા દેશભરમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે ભારતસરકારના કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે પધાર્યા છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણે મંત્રીશ્રીનું દમણગંગા સર્કીટ હાઉસ ખાતે પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશના વિવિધ વિકાસના કામોની મુલાકાત લીધી હતી, સાથે ગામડાઓમાં જઈ ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી અને સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ પર્વ સંદર્ભે લોકોને જાણકારી આપી હતી. આ અવસરે મંત્રી શ્રી દેવુસિંહ સાથે કલેક્ટર શ્રી રાકેશ મિન્હાસ, આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.