-
-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બે દિવસીય દાનહ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યાન્વિત પ્રોજેક્ટોના નિરીક્ષણ સાથે વિવિધ વિસ્તારની પણ કરેલી મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની બે દિવસીય દાદરા નગર હવેલીની મુલાકાતનું સમાપન કરતા પહેલાં વિવિધ કાર્યાન્વિત પ્રોજેક્ટોનું નિરીક્ષણ કર્યું હતું અને વધુ શ્રેષ્ઠ દાદરા નગર હવેલીના નિર્માણ માટે પોતાનો સંકલ્પ પણ દોહરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે યાત્રી નિવાસ ફલાય ઓવરબ્રિજ, શહિદ ચોકથી યાત્રી નિવાસ સુધીના સેમ્પલ રોડનું અવલોકન, સાયલી ખાતે નિર્માણાધિન મેડિકલ કોલેજ, શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગ તથા ઝંડાચોક સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની ક્ષમતા પ્રમાણેનું કામ નહીં કરાતા જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરોને વિવિધ મુદ્દા ઉપર સખત ઠપકો આપ્યો હોવાનું વિશ્વસનીય સાધનોએ જણાવ્યું હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માપદંડ ઉપર લગભગ જાહેર બાંધકામ વિભાગની અત્યાર સુધીનીકામગીરી માંડ સરેરાશ સુધીની રહી હોવાનું પણ માનવામાં આવે છે. પ્રશાસકશ્રી સ્વયં એન્જિનિયર હોવાથી પ્રોજેક્ટના ડ્રોઈંગથી માંડી તેના એલીવેશન અને બીજી અનેક બાબતોનું ધ્યાન સ્વયં રાખતા હોય છે. જેના કારણે કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને પણ સૂચિત ક્વોલીટી સાથે બાંધછોડ કરવાની તક જ મળી શકતી નથી. પરંતુ પ્રોજેક્ટના સમયને લંબાવવા તથા બીજી નાની-મોટી આંટીઘૂંટી સર્જવાની થતી કોશિષ સામે પણ પ્રશાસકશ્રીની બાજ નજર ફરી વળતી હોવાથી અત્યાર સુધી જાહેર બાંધકામ વિભાગના એન્જિનિયરો અને અધિકારીઓનો હેતુ સિદ્ધ થઈ શક્યો નથી.
દાદરા નગર હવેલી ખાતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિવિધ પ્રોજેક્ટોના કરેલા નિરીક્ષણ બાદ સંતોષ વ્યક્ત કર્યો હતો અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી.