પાલિકા અને ભાનુશાલી સમાજ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો : વૈશાલી ચોકડીને શ્યામજી વર્મા ચોક નામ અપાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: વાપીના પ્રવેશદ્વાર વૈશાલી ચોકડી ઉપર આજે રવિવારે આઝાદીના મહાન યૌધ્ધા અને ભાનુશાલી ગુજરાતી સપૂત શ્યામજી કૃષ્ણા વર્માની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
વાપી નગરપાલિકા અને ભાનુશાલી મિત્રમંડળ ટ્રસ્ટ દ્વારા વૈશાલી ચોકડી ઉપર આજે રવિવારે પંડિત શ્યામજી કૃષ્ણા વર્માની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ સવારે 10 કલાકે યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નાણા-ઊર્જા,પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી કનુભાઈ દેસાઈએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, કચ્છના વિર સપૂત બાનુશાલી પંડિત શ્યામજી કૃષ્ણા વર્માએ પરદેશમાં આઝાદીની લડત ચલાવી હતી. લંડનમાં ઈન્ડિયા હાઉસથી સુભાષ ચન્દ્ર બોઝ અને પંડિત શ્યામજી વર્માએ આઝાદીનો સંગ્રામ છેડયો હતો. તેઓ જીવંત થયેલ આઝાદીના લડવૈયા પધરાવજો તેમની અંતિમ ઈચ્છા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પુરી કરી તેવા સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી વર્માની પ્રતિમાનું વાપીના પ્રવેશદ્વાર વૈશાલી ચોકડી ઉપર આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કાશ્મિરાબેન શાહ, કારોબારી ચેરમેન મિતેશ શાહ, ઉપ પ્રમુખ અભય નહાર તથા ભાનુશાલી સમાજ પ્રમુખ અરવિંદભાઈ ભાનુશાલી સહિત ભાનુશાલી સમસ્ત સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.