પંચાયત અને તલાટી કાર્યાલય સામે જૂના ઘર ઉપર મસમોટી મોટી ઈમારત કેવી રીતે અને કોની રહેમનજર હેઠળ ઊભી થઈ..?: સ્થાનિકોમાં ચર્ચાનો વિષય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં દાદરાથી લઈ ખાનવેલ સુધી નેશનલ હાઈવે માર્જિનમાં બની રહેલા કેટલાક પ્રોજેક્ટો આજે સાત આઠ વર્ષોથી બંધ છે, ત્યારે દાદરા ગ્રામ પંચાયત કચેરીની સામે જ અચાનક ઊભી થયેલી બિલ્ડીંગ સ્થાનિક લોકોના માટે ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા પંચાયત ગામ વિસ્તારમાં આવેલા નવો સર્વે નંબર1, અને જૂનો સર્વે નંબર 22 (1/ઞ્41/1ભ્3), કબજેદારનું નામ નરોત્તમ ડાહ્યા પાંચાલ(વનમાળી કીકા પાંચાલ), સ્વ. પ્રવિણા શશિકાંત પંચાલ (પત્ની), જયંતીલાલ વનમાળી પંચાલ, શશિકાંત વનમાળી પંચાલ, કેતન શશિકાંત પંચાલ (પુત્ર), પ્રિયંકા શશિકાંત પંચાલ, હિતેશ શશિકાંત પંચાલ (પુત્ર)આ નામો ઉપર બતાવેલા સર્વે નંબર પર ચાલી આવ્યા છે અને આ જગ્યાએ આજથી ઘણા વર્ષો જૂના ઘર હતા અને બાજુમાં કેટલાક ઘરો આજે પણ છે, જ્યાં બે જૂના ઘર તોડી હાલમાં ચાર માળાની ઇમારત ઊભી કરી દેવામાં આવી છે.
થોડા દિવસો અગાઉ પહેલાં સ્થાનિકોએ આ બાબતે ફરિયાદ દાદરા નગર હવેલીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સેલવાસને કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાંધકામ બંધ કરાવ્યું હતું, પરંતુ બાંધકામ કરાવતા વ્યક્તિને કોઈનો જ ડર નહીં હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. કેટલીક વખત તલાટી ઓફિસથી પણ કામ રોકવામાં આવ્યું, પણ બિલ્ડીંગ બનાવનાર વ્યક્તિએ નિર્માણકાર્ય અટકાવવાના બદલે ચાર માળાની બિલ્ડિંગ તલાટી ઓફિસ અને પંચાયત ઓફિસની સામે જ ઊભી કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે તલાટી ઓફિસ દ્વારા પણ હવે બાંધકામની માહિતી લાગતા વળગતા વિભાગને જાણ કરી દેવામાં આવી છેપણ એવું લાગી રહ્યું છે કે મકાન બનાવનારનો હાથ ઉપર સુધી હોય અને કોઈ વ્યક્તિ કે તંત્ર આ કામને રોકી શકે તેમ નહીં, તેવા ખ્યાલમાં રાચી રહ્યો હોય એવું લાગણી ગામલોકો વ્યક્ત કરી રહ્યા છે.
અગાઉ બતાવેલા સર્વે નંબર પર બે ઘર હયાત હતા, જેમાંથી એક ઘરના વ્યક્તિ દ્વારા કોઈપણ જાતની પરવાનગી ન આપી હોય અને જ્યારે ચાર માળની બિલ્ડિંગનું બાંધકામ જોઈ તેઓએ પણ પંચાયત ખાતે આવી બાંધકામનો વિરોધ નોંધાવ્યો છે. તેમ છતા તિવારી નામક વ્યક્તિને કોઈનો પણ ડર ન હોય તેવું દેખાઈ રહ્યું છે અને બાંધકામ કાર્યમાં કોઈ રૂકાવટ નથી આવી રહી અને કાર્ય હાલમાં પણ ચાલી રહ્યું છે.
પંચાયત દ્વારા જૂના ઘર પર નવા ઘરની પરવાનગી કેવી રીતે આપી? ટોરેન્ટ પાવર દ્વારા લગાવવામાં આવેલું વીજ મીટરનું કનેક્શન કઈ રીતે મળ્યું? બે ઘર હોય અને એક ઘરના પરવાનગી ન મળી હોય તો આટલી મોટી ઈમારત બનાવવાની પરવાનગી કોણે આપી? શું પ્રશાસન દ્વારા બનાવાયેલા પી.ડી.એ.ના નવા નિયમો આ વ્યક્તિને લાગુ નથી પડતાં? આવા અનેકો સવાલ ગામલોકો કરી રહ્યા છે. દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન આ બાબતને ગંભીરતાથી લે અને નિયમોની અવહેલના કરી બાંધકામ કરનાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરે એવી સ્થાનિકો દ્વારા માંગકરવામાં આવી છે.