-
દાનહ અને દમણ-દીવ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ઋણી રહેશેઃ પ્રદેશના સામાન્ય લોકોને પોતાના વિકાસ માટે ઉભી થયેલી તક
-
દમણ-દીવમાં કુલ 16 અને દાનહમાં કુલ 17 પ્રશાસકોએ સંભાળેલા વહીવટમાં સત્ય ગોપાલનો રહેલો સૌથી લાંબો કાર્યકાળ
આજે 29મી જૂન. આજથી બરાબર 70 મહિના પહેલાં દમણ અને દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યો હતો. તેઓ પહેલા નોન આઈ.એ.એસ. પ્રશાસક હતા. તેથી તેમની નિયુક્તિથી પ્રદેશના શાસક પક્ષમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ હતું. જ્યારે વિરોધી પક્ષમાં ઉચાટ અને
અજંપો હતો.
આજે પ્રશાસક તરીકે અખત્યાર સંભાળ્યાના બરાબર 70 મહિના પુરા થયા છે અને અગામી બે મહિના બાદ 6 વર્ષ પૂર્ણ થશે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા 70 વર્ષમાં જે કામો નથી થયા, જે યોજનાઓસાકાર નથી થઈ તે તમામ માત્ર છેલ્લા 70 મહિનામાં થઈ શકી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા 70 મહિનામાં રાષ્ટ્રપતિ, પ્રધાન
મંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી સહિત અનેક કેબિનેટ સ્તરના મંત્રીઓની મુલાકાતથી દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું રહ્યું છે.
70 મહિના પહેલાં દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી બંને અલગ અલગ બે કેન્દ્ર શાસિત પ્રદેશ હતા. આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના એકીકરણનું કામ પણ છેલ્લા 70 મહિનાની અંદર જ થયું છે. આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંયુક્ત રીતે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાથી તેની શક્તિ અને સામર્થ્યમાં પણ વધારો થયો છે.
આજથી બરાબર 70 મહિના પહેલાં એટલે કે, 29મી ઓગસ્ટ 2016ના સમયે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવાસીઓની અવર-જવર કેવી રહેતી હતી..? આજે પ્રવાસીઓનો ધસારો કેવો રહે છે? તેની મુલવણી અને મૂલ્યાંકનના આધારે થયેલા પરિવર્તનને સાક્ષાત માણી શકાય છે. પ્રવાસન, શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય, માળખાગત સુવિધા સહિતની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનથી છેલ્લા 70 મહિનામાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની બદલાયેલી દશા અને દિશાને જોઈ શકાય છે.
સંઘપ્રદેશનાપ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના તો હજુ માંડ 70 મહિના થયા છે અને અગામી ઓગસ્ટમાં 6 વર્ષ પૂર્ણ થશે. પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક પદની શરૂ થયેલી પરંપરાના 30 વર્ષ પૂર્ણ થયા છે. દમણ-દીવ અને દાદરા નગર હવેલીના આઈ.એ.એસ. પ્રશાસક તરીકે 16મી માર્ચ, 1992ના રોજ કે.એસ.બૈદવાને અખત્યાર સંભાળ્યો હતો. ત્યારથી માંડી 29મી ઓગસ્ટ, 2016 સુધી દમણ-દીવમાં કુલ 16 અને દાનહમાં કુલ 17 પ્રશાસકોએ વહીવટ સંભાળ્યો છે. જેમાં સૌથી લાંબો કાર્યકાળ શ્રી સત્ય ગોપાલનો રહ્યો છે. તેમણે 29 જાન્યુઆરી, 2008 થી 7મી માર્ચ, 2011 સુધી 3 વર્ષ અને લગભગ બે મહિના જેટલો સમય પ્રશાસક પદે પસાર કર્યો હતો. ત્યારબાદ શ્રી એસ.પી.અગ્રવાલ 15 જુલાઈ, 1995થી 26-06-1998 સુધી પ્રશાસક પદે રહ્યા હતા. શ્રી પ્રફુલભાઈ પટેલ પહેલાં આવેલા 16 પ્રશાસકો પૈકી એકાદ-બે અપવાદોને બાદ કરતા લગભગ તમામે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, લીકરમાફિયાઓ, લેન્ડમાફિયાઓ વગેરે સાથે જુગલબંધી કરી સરકારના અને પ્રદેશના લોકોના કરોડો રૂપિયા ઓહિયા કરીને લઈ ગયા છે. તેની સામે છેલ્લા 70 મહિનામાં આંખે ઉડીને વળગે એવો પ્રદેશનો વિકાસ થયો છે, કાયદાના રાજની સ્થાપના થઈ છે, પ્રદેશમાંથી માફિયારાજનો સપાટો બોલાયો છે. વહીવટમાં નીતિમત્તા અનેપારદર્શકતાનો પ્રવેશ થયો છે. જેના કારણે સામાન્ય લોકોને પોતાના વિકાસ માટેની તક ઉભી થઈ છે. જેના માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઋણી રહેશે. કારણ કે, તેમણે શ્રી પ્રફુલભાઈ પટેલ જેવા કર્મઠ અને નીડર વ્યક્તિત્વની પ્રશાસક તરીકે નિમણૂક કરી દાદરા નગર હવેલી અને દમણ-દીવના સારા દિવસો લાવ્યા છે.
એક્સ્ટ્રા કોમેન્ટ
ગુજરાત રાજ્યને બેઠું કરી દોડતું કરતા મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ લાગ્યા હતા. ગુજરાત રાજ્ય કરતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખુબ જ ટચૂકડુ હોવા છતાં અહીંની સમસ્યા નાની નથી, અને સમૃદ્ધિ પણ ઓછી નથી. તેથી પ્રદેશને લાંબી છલાંગ મરાવવા માટે શ્રી પ્રફુલભાઈ પટેલ જેવા પ્રશાસકની હજુ ઘણાં વર્ષો માટે જરૂરત છે. 2024 બાદ પણ શ્રી પ્રફુલભાઈ પટેલ જ પ્રશાસક રહે તો દાદરા નગર હવેલી અને દમણ-દીવ ક્યાં જઈને પહોંચશે?