શ્રમજીવી પરિવારનો એકમાત્ર આધાર છીનવાતા પરિવારમાં ફેલાયેલી શોકની લાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના તેજલાવ ગામના વેઠીયાવાડમાં રવિવારના રોજ ત્રણેક વાગ્યાના અરસામાં સ્વામિનારાયણ મંદિર નજીક થાંભલા ઉપર વાયર ખેંચતા સમયે બાજુમાં આવેલ થાંભલા ઉપરના વાયર સાથે હાથ લાગી જતા વીજ કરંટ લાગતા આનંદ દિનેશભાઈ રાઠોડ (ઉ.વ.આ. 25) (રહે.રોલાગામ, નવાનગર તા.જી.વલસાડ) નીચે પડી જતા સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખેસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવો અંગેની ફરિયાદપિંકલ નીતિનભાઈ રાઠોડે (ઉ.વ.આ. 28) (રહે.કુંડી ગામ હાજી તળાવ તા.જી.વલસાડ) આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સામાન્ય રીતે કોન્ટ્રાક્ટરે કામ ચાલું કરવા પૂર્વે સંબંધિત વીજ કંપનીની કચેરીને જાણ કરવાની હોય છે અને વીજ કંપની દ્વારા એક કર્મચારી પણ ફાળવવામાં આવતો હોય છે પરંતુ રવિવારના રોજ કોન્ટ્રાક્ટરે વીજ કંપનીની કચેરીને જાણ કર્યા વિના તેજલાવમાં કામ કરાવાયું હતું અને એ સમયે એક વીજ લાઈન પર વીજ પ્રવાહ બંધ કર્યો હતો પરંતુ ત્યાંથી પસાર થતી બીજી વીજ લાઈન બંધ કરી ન હતી. જેને લઈને વીજ કરંટ લાગવાથી રોલા ગામના શ્રમજીવી પરિવારે એકમાત્ર આધાર ગુમાવવો પડતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઉપરોક્ત સંજોગોમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે વીજ કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યુવાન દીકરો ગુમાવનાર પરિવારને યોગ્ય વર્તન ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.