કચીગામ ચાર રસ્તા સુધી નિકળેલી શોભાયાત્રામાં જોડાયેલું આખું કચીગામ : મહાપ્રસાદ સાથે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે ભિખી માતા અને દુધી માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં ફક્ત કચીગામ જ નહીં પરંતુ સમગ્ર દમણ ભક્તિભાવથી ઉપસ્થિત રહી આજે મહાપ્રસાદમાં પણ સેંકડો ભાવિકભક્તો જોડાયા હતા.
કાછલ ફળિયાના ભિખી માતા અને દુધી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મોટી શોભાયાત્રા પણ કચીગામ ચાર રસ્તા સુધી જઈ પરત મંદિરના પટાંગણમાં પહોંચી હતી. સાંસદ શ્રી લાલુભાઈ પટેલ એમના પુત્ર અને યુવા નેતા શ્રી ગૌરાંગ લાલુભાઈ પટેલ સહિતની ટીમ તથા શ્રી ઈશ્વરભાઈ અને તેમના સાથીદારોએ આ સમગ્ર કાર્યક્રમને સફળ અને યશસ્વી બનાવવા પોતાના તન, મન અને ધનનું યોગદાન આપ્યું હતું. મનિષા વસાવા અને તેમના સાથીઓએ ભજન અને ભક્તિ ગીતનીજમાવેલી રમઝટથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું.