સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાના લાભથી ગામનો સર્વાંગી વિકાસ શક્ય: જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના માજી અધ્યક્ષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: છેલ્લા 2 દાયકામાં ગુજરાત સરકારે તમામ જિલ્લામાં પ્રજાનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી. જેના થકી ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પ્રજાના 20 વર્ષના વિશ્વાસ થકી ગુજરાતે ચારેય દિશામાં જે વિકાસ કર્યો તેની માહિતી જન જન સુધી પહોંચે અને સરકારની અનેક કલ્યાણકારી યોજનાનો લાભ લાભાર્થીઓને મળે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે. બીજા દિવસે તા. 6 જુલાઈના રોજ વલસાડ તાલુકાના ચણવઇ ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે રથ આવી પહોંચ્યો હતો. જ્યાં કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતની ચણવઇ બેઠકના સભ્ય તેજલબેન પટેલ અને મહાનુભવોનું સ્વાગત ઔષધીય વનસ્પતિથી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના માજી અધ્યક્ષ હેતલબેન પટેલે વંદે ગુજરાત વિકાસ યાત્રા દ્વારા ગ્રામજનોને થનારા લાભો અંગે માહિતી આપતા જણાવ્યું કે, સરકાર દ્વારા પ્રજાના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેની માહિતી લોકો સુધી પહોંચે તે માટે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામેગામ ફરી રહ્યો છે. આવનારા દિવસોમાં પણ અનેક યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકાનાર છે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આપણે આર્થિક રીતે પગભર થઈ આપણા ગામનો વિકાસ કરી શકીશું. ગામનો કોઈપણ વ્યક્તિ સરકારની યોજનાથી વંચિત ન રહે તે માટે સૌ ગ્રામજનો જાગૃત બનીએ. સરકાર દ્વારા દીકરી જન્મે ત્યારથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ સુધીની ત્યારબાદ તેના લગ્ન થાય અને પ્રસુતિ થાય ત્યાં સુધીની કલ્યાણકારી યોજનાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને સગર્ભા બહેનોને આંગણવાડીમાંથી જે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેનાથી બાળક તંદુરસ્ત બનશે બાળક તંદુરસ્ત હશે તો જ ગામ પણ તંદુરસ્ત બનશે. સરકારશ્રીએ અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે પરંતુ આપણે જાગૃત થઈને આ યોજનાઓનો લાભ લઈશું તો આપણા ગામનો સર્વાંગી વિકાસ કરી શકીશું.
ચણવઈ ગામમાં કોરોના રસીકરણની 100 ટકા કામગીરી થઈ હોવાથી સરપંચ મનીષભાઈ પટેલ દ્વારા ચણવઇ પીએચસીના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન ટીકુને સન્માનપત્રથી નવાજ્યા હતા. કોરોના દરમિયાન સારી કામગીરી કરનાર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ, વ્હાલી દીકરી યોજના, ખેતીવાડી વીજ જોડાણ યોજના, ઉજ્વલા યોજના અને સખીમંડળ સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ચણવઇ ગામના સરપંચ મનીષભાઈ પટેલ, બીનવાડા ગામના સરપંચ કુસુમબેન પટેલ, અંજલાવ ગામના સરપંચ જૈનીશભાઈ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ગામમાં આવી પહોંચતા એલઇડી સ્ક્રીન ઉપર ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ અને સરકારની પીએમ જેવાય યોજના, ઉદ્યોગ સાહસિકતા માટેની યોજના, આદિવાસી વિસ્તારોમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજ તેમજ યુનિવર્સિટીની સ્થાપના, નર્મદા યોજના અને ડિજિટલ ઇન્ડિયા સહિતની વિકાસલક્ષી કાર્યોની માહિતી ગ્રામજનોને આ રથ દ્વારા મળી હતી.