બે વ્યક્તિની પૂછપરછ માટે એન.આઈ.એ.એ કરેલી અટક : હજુ સત્તાવાર પુષ્ટી મળીનથી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: ગજવા એ હિન્દ આતંકી સંગઠન દિલ્હી સહિત દેશમાં આતંકી ગતિવિધિમાં કુખ્યાત છે. ગજવા એ હિન્દ ગતિવિધિઓના મામલે એન.આઈ.એ. ટીમએ બુધવારે વાપી ગોદાલનગરમાં ધામા નાખ્યાના અહેવાલ વહેતા થયા છે. ગોદાલનગર સ્થિત એક ફલેટમાં એન.આઈ.એ.એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તેમજ પુછપરછ માટે બે વ્યક્તિની અટક પણ કરવામાં આવી હતી. જો કે હજુ સુધી આ મામલે સત્તાવાર પુષ્ટિ જાહેર કરાઈ નથી. પરંતુ પરિવારના સભ્યોની એન.આઈ.એ. પુછપરછ કરી રહી હતી.
એન.આઈ.એ.ની વાપી ગોદાલનગરમાં કરાયેલ કાર્યવાહીમાં મળતી પ્રાપ્ત વિગતોમાં 2022માં દિલ્હીમાં એક આતંકી ગતિવિધિમાં દાખલ થયેલ કેસ પ્રકરણમાં એન.આઈ.એ.નો તપાસનો રેલો વાપી સુધી પહોંચ્યો હોવાનું મનાઈ રહ્યું છે. બુધવારે એન.આઈ.એ.ની ટીમે વાપી ગોદાલનગરના એક ફલેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે વ્યક્તિની પુછપરછ માટે અટક કરાઈ હોવાની હકિકતો પ્રકાશમાં આવી છે. વાપીમાં એન.આઈ.એ. ધરેલા સર્ચ ઓપરેશનને લઈ મુદ્દો સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.