ન.પા. તંત્ર દ્વારા તમામ વેપારીઓને એકસરખી ડિઝાઈનના સાઈન બોર્ડ મુકવા પડાતી ફરજ, સેલવાસ માર્કેટમાં મોટા ભાગની દુકાનો ભાડા પર ચાલે છે અને જો ભાડાની દુકાન માલિક ખાલી કરાવે તો સાઈનબોર્ડ માટે કરેલો ખર્ચ તો વ્યર્થ જ જવાનો, તેથી આવા ખોટા ખર્ચ વેપારીઓએ શા માટે વેઠવા?: વેપારીએસોસિએશન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : હાલમાં બે દિવસથી સેલવાસ નગરપાલિકા દ્વારા ‘દબાણ હટાવો ઝુંબેશ’ શરૂ કરવામાં આવેલ છે જેમાં દબાણો હટાવવાની સાથે દુકાનોની બહાર મુકવામાં આવતા સરસામાનો પણ ઉઠાવીને લઈ જવાતા હોવાને કારણે અને નગરપાલિકા દ્વારા સમય સમય પર વેપારીઓને આપવામાં આવતા વિવિધ નિર્દેશ-નોટિસો બાબતે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના સમસ્ત વેપારીઓ ભેગા થઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ રેલી કાઢી કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી સેલવાસ ન.પા. દ્વારા
ચલાવવામાં આવી રહેલ ‘ગેરકાયદે દબાણ હટાવો’ ઝુંબેશ સામે આજે દાનહ વેપારી એસોસિએશન દ્વારા કિલવણી નાકા પર એકત્રિત થઈ કેટલાક મુદ્દાઓ બાબતે ગહન ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. સેલવાસ નગરપાલિકા દ્વારા વેપારીઓને ફરજ પાડવામાં આવી રહી છે કે, દુકાનની બહાર પાંચ ફૂટનો શેડ બનાવી શકે છે અને તે પણ ન.પા.એ આપેલ ડિઝાઈન મુજબ જ તથા દરેક વેપારીએ એકસમાન એકસરખી ડિઝાઈનના સાઈનબોર્ડ બનાવવા, દુકાનોની બહાર કોઈપણ સામાન ડિસ્પ્લે માટે મુકવો નહીં જેવાવિવિધ સલાહ-સૂચનો સંદર્ભે વેપારીઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે, પાલિકા એક વર્ષથી પાંચ ફુટના શેડની ડિઝાઈન નક્કી કરી શકી નથી, અગાઉ એક ડિઝાઈન નક્કી કરેલ હતી જેના માટે હજારો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ એની લાઈફ નથી અને દુકાન બહાર લગાવવાથી કોઈ જ ડેકોરેશન આવતુ નથી. તેથી આ મુદ્દો નગરપાલિકા ચીફ ઓફીસર સામે પણ મુકવામાં આવેલ હતો, જે માટે કોઈ નવી ડિઝાઈન અંગે આજદિન સુધી નિર્ણય લેવા બોલી મામલો પેન્ડિંગ રાખી મુક્યો છે અને હજી સુધી તેનો કોઈ નિર્ણય પણ આવ્યો નથી. ઉપરાંત એકસમાન સાઈનબોર્ડ સંદર્ભે માર્કેટમાં દરેક દુકાન અલગ અલગ લેવલ પર બનેલ છે, તેથી એક જ પ્રકારના સાઈનબોર્ડના કારણે માર્કેટનું રૂપ બગડશે અને એકરૂપતા આવશે નહિ, બ્રાન્ડ સ્ટોર, ફ્રેન્ચાઈજી સ્ટોર, કંપનીના સ્ટોર, બેંક પોતાના બોર્ડમાં કોઈ ચેન્જ નહીં કરી શકશે, મોટા શોરૂમ વાળાએ લાખો રૂપિયા ખર્ચ કરીને આઉટડોર ફર્નિચર અને લાઈટીંગ વાળા સાઈનબોર્ડ બનાવેલ છે તો એને હટાવી એક સમાન સાઈનબોર્ડ બનાવવા માટે તૈયાર નથી.
વેપારીઓએ સવાલ કર્યો છે કે, દેશ અથવા વિદેશમાં કયું એવું શહેર છે કે જ્યાં એક સમાન સાઈનબોર્ડ છે. અહીં સેલવાસના માર્કેટમાં 85 ટકા દુકાનો ભાડા પર છે જેનું એગ્રીમેન્ટ દરઅગિયાર મહિનામાં લખવામાં આવે છે. હાલમાં કેટલાક પૈસા સાઈનબોર્ડ પર ખર્ચ કરીએ અને 11 મહિના બાદ દુકાન માલિક દુકાન ખાલી કરાવી દે તો અમારા પૈસાની બરબાદી જ થશે. વેપારીઓનું જણાવવાનું કે, અમને પાંચ ફૂટના શેડ લગાવવાની અનુમતિ છે તો એ શેડમાં અમે ડિસ્પ્લે કેમ નહીં કરી શકીએ? જ્યારે પાલિકા સ્ટ્રીટ વેન્ડરોને અમારી દુકાનની બહાર બેસી માલ સામાન વેચવાની અનુમતિ આપી શકતી હોય તો અમે હજારો રૂપિયા ભાડુ આપીએ છીએ તો અમે સામાન કેમ નહીં મુકી શકીએ? તે પણ અમારા પાંચ ફૂટના શેડમાં, કેટલાક વેપારીઓએ પૂછ્યુ છે કે આવનાર પાંચ વર્ષનું પ્લાનિંગ શું છે? પહેલાં પાંચ ફૂટના શેડનું પ્લાનિંગ છે, તેથી સૌ પ્રથમ પાલિકા એ નક્કી કરે કે સાઈનબોર્ડ પાંચ ફૂટ શેડની આગળ લાગશે કે પછી પાછળ?
સેલવાસ સ્માર્ટસીટી બની રહ્યું છે અને દરેક વેપારીઓ તંત્રને પુરો સાથ અને સહકાર આપી રહ્યા છે, પરંતુ નગરપાલિકાના શાસકો-તંત્ર દ્વારા અનઆવશ્યક પરેશાની ઉભી કરી વેપારીઓને હેરાન-પરેશાન કરી સામાન ઉઠાવી લઈ જવો કે ધમકી આપવી એ કેટલી યોગ્ય છે. વેપારીઓનો સવાલ છે કે કયા નિયમ મુજબ એક ડિઝાઇનનો શેડ અને સાઈનબોર્ડ બનાવવા માટે પાલિકા દબાણ કરી રહી છે, એનું કોઈ નોટિફિકેશન હોય તો એની જાણકારી લેખિતમાંઆપે, દરેક વેપારીઓએ નક્કી કર્યું છે કે પાલિકા દ્વારા કોઈપણ મૌખિક નિર્દેશો પર સહમતી સધાશે નહીં અને કોઈપણ પાલિકા કર્મચારી કોઈ દુકાનદાર પાસે જઈને પરેશાન ન કરે અને કોઈપણ નિર્દેશ-દિશા-દોરવણીની ચર્ચા એસોસિએશન સાથે કરે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.
આ દરમિયાન વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી શાંતુ પુજારી, સચિવ શ્રી સુનિલ મહાજન અને તમામ સભ્યોએ કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાને આવેદન પત્ર આપી એમને કનડતી સમસ્યા અંગે ચર્ચા કરી હતી. આ બાબતે કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાએ પણ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું કે, આ સંદર્ભે વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.