વિકાસના કામના આયોજનમાં તમામ વિસ્તારને ન્યાય આપતા સભ્યોમાં જોવા મળેલી ખુશી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડાના અધ્યક્ષ હેઠળ આજરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભ થયેલી સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપ્યા બાદ એજન્ડા મુજબ સભાને આગળ વધાવવામાં આવી હતી. જેમાં વર્ષ 2022-23 ની 15 માં નાણાપંચ અને સ્ટેમ્પ ડયુટીની રૂા.4.82 કરોડ ગ્રાન્ટની રકમનું વિકાસના કામનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસના કામના આયોજનમાં તમામ બેઠકોને પ્રાધાન્ય આપતા તમામ સભ્યો સંતોષ જણાતાં હતા. આજની સભાની બેઠક પહેલા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને સંગઠનના મંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા અને કારોબારી અધ્યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ જોડેચર્ચા-વિચારણા કરી હતી અને વિકાસના કામના આયોજનમાં તમામ વિસ્તાર અને તમામ બેઠકને ન્યાય આપવા નક્કી કર્યું હતું. જે મુજબ નિર્ણય લેવાતા તમામ સભ્યો ખુશ જણાયા હતા.
આજની સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, કારોબારી અધ્યક્ષ ચિંતનભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી પ્રતિમાબેન પટેલ, તેમજ તાલુકા પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપ ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને સંગઠનના મંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સફળ સંચાલન તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું.
—————–
ઉમરગામ પાલિકાની મળેલી સામાન્ય સભામાં વિકાસના મુદ્દે સભ્યોમાં જોવા મળેલો અસંતોષ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં મોટાભાગના પાલિકાના સભ્યોમાં મંદ પડેલા વિકાસના મુદ્દે ભારે નારાજગી જોવા મળી હતી. શાસક પક્ષના જ કેટલાક સભ્યોએ વહીવટમાં થયેલી ગેરરીતિના મુદ્દે સવાલ ઊભો કરી હોદ્દેદારોને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ પાલિકા દ્વારા કરવામાં આવેલી ચુકવણી અને થયેલા વિકાસના કામ વચ્ચે તાલમેલ મળતો ન હોવાનો આરોપ વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવ્યો હતો. બચાવની ભૂમિકામાંઆવી ગયેલા હોદ્દેદારોએ રૂા.19 કરોડના કામનું આયોજન અને વહીવટી મંજૂરી મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ આ કામની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામો શરૂ કરવામાં આવશે એવી હૈયાધરપત આપવામાં આવી હતી.
પાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાને પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી ગૌરાંગભાઈ માછી, પાલિકાના ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી સહિત તમામ સભ્યોની ઉપસ્થિતિ જોવા મળી હતી. સભાનું સફળ સંચાલન પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.